આજથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા, રાજ્યના 18.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે..
રાજ્યના 1607 કેન્દ્રોના 63615 ખંડમાં પરીક્ષાનું આયોજન… તમામ પરીક્ષાખંડ સીસીટીવી કેમરા અને ટેબ્લેટથી સજ્જ… રાજ્યના 125 કેદીઓ પણ ધોરણ 10-12ની પરીક્ષા આપશે..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ -12ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આજથી શરૂ થઈ છે. જેમાં સમગ્ર ગુજરાતના 18.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
ધોરણ 10-12ની પરીક્ષાઓ માટે 137 ઝોનમાં આવેલા 1607 કેન્દ્રો પર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 5873 બિલ્ડિંગનો સમાવેશ થાય છે. તેના 63615 ખંડમાં બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. પરીક્ષામાં 85 હજાર કર્મચારીઓ કાર્યરત છે.
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લા બે વર્ષથી જેલના કેદીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ધોરણ-10ના 89 અને ધોરણ-12ના 36 મળી 125 કેદી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની મધ્યસ્થ જેલમાં પરીક્ષા આપી રહ્યા છે.
ધોરણ 10-12ની પરીક્ષાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્ર પર ખાસ તકેદારીના ભાગરૂપે ક્લાસ-1 અને ક્લાસ-2ના ઓફિસર પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓબ્ઝર્વેશન કરશે.. આ ઉપરાંત રાજ્ય અને જિલ્લાકક્ષાની પોલીસ ગોઠવવામાં આવી છે.
રાજ્યના 63 હજાર પરીક્ષાખંડ સીસીટીવી કેમરા સજ્જ કરવામાં આવ્યા છે. અને જ્યાં સીસીટીવીની વ્યવસ્થા નથી ત્યાં 509 જેટલા ટેબ્લેટ મુકવામાં આવ્યા છે..