પીજીવીસીએલ વિશ્વાસ કાર્યક્રમ ગ્રાહકો અને તંત્ર વચ્ચે સેતુુ બનવાનું કાર્ય કરે છેે : પ્રીતિબેન શર્મા
ભુજ : પીજીવીસીએલના સયુંક્ત મેનેજીંગ ડીરેકટર પ્રીતિ શર્માના વડપણ હેઠળ પીજીવીસીએલ વિશ્વાસ કાર્યક્રમનું આયોજન માધાપર પેટા વિભાગ અને ભુજ ગ્રામ્ય પેટા વિભાગના ગ્રાહકો માટે કરાયું હતું. આ કાર્યક્રમ માધાપર યક્ષ મંદીર મધ્યે યોજવામાં આવ્યો હતો, જેમાં માધાપર અને ભુજ ગ્રામ્ય પેટા વિભાગ હેઠળના ગામોના સરપંચો, રાજકીય તથા સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
અધ્યક્ષ સ્થાનેથી બોલતા સયુંક્ત મેનેજીંગ ડીરેકટર દ્વારા જણાવાયેલ કે, પીજીવીસીએલ દ્વારા શરૂ કરવામાં આવેલ પીજીવીસીએલ વિશ્વાસકાર્યક્રમ ગ્રાહકો અને પીજીવીસીએલ વચ્ચેનો સેતુ બનવાનું કાર્ય કરે છે. કચ્છની વિષમ ભૌગોલિક પરિસ્થિતિને અનુલક્ષીને અલગથી યોજનાઓ ફાળવવામાં આવેલ છે તથા પીજીવીસીએલ દ્વારા મેઈન્ટેનન્સની કામગીરી દરમ્યાન વીજ પુરવઠો બંધ કરવાની જરૂર સર્જાતા ગ્રાહકો વતી પીજીવીસીએલને સહકાર મળી રહે તે માટે અનુરોધ કર્યો હતો તથા વિશ્વાસ કાર્યક્રમ ગ્રાહકોના પ્રશ્નોને જાણીને તેનો નિવેડો સમય મર્યાદામાં લાવવાનો આ પ્રયાસ હોવાનું જણાવેલ હતું.
હાજર પ્રતિનિધિઓએ આ પહેલની સરાહના કરીને સંવાદ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પીજીવીસીએલને લગતા પ્રશ્નોની રજૂઆત કરી હતી. પીજીવીસીએલ તરફથી ભુજ વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર એચ.યુ ગોસાઈ તથા માધાપર પેટા વિભાગ અને ભુજ ગ્રામ્ય પેટા વિભાગના નાયબ ઇજનેરો દ્વારા ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિવારણની ખાતરી આપવામાં આવી હતી. સયુંક્ત મેનેજીંગ ડીરેકટર દ્વારા ચર્ચામાં ભાગ લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. વિશેષમાં નીતિ વિષયક બાબતો પોતાના સ્તરેથી ઉકેલવાની સયુંક્ત મેનેજીંગ ડીરેકટર દ્વારા ખાતરી આપવામાં આવી હતી. માધાપર જુનાવાસ તથા સુમરાસર શેખના ગ્રામ પંચાયતના સરપંચ અને પ્રતિનિધિઓ દ્વારા સયુંક્ત મેનેજીંગ ડીરેકટરનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન અલકાબેન વૈદ્ય અને પલ્લવીબેન શેઠે કર્યું હતું.