કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભૂજની જેલ અને BSF બોર્ડરની મુલાકાત લેશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી ફરી ગુજરાતના બે દિવસીય પ્રવાસેછે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ગુજરાતના નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથે જ જાહેરસભાઓને પણ સંબોધિત કરશે. દિલ્હીથી સીધા કચ્છ પહોંચ્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કોટેશ્વર મહાદેવના દર્શન કરશે અને ત્યાર બાદ સરહદી વિસ્તારોનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
આજે ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે અમિત શાહ સવારે 10-30 વાગ્યે IFFCO કંડલા ખાતે નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે તેઓ કોટેશ્વર ખાતે BSFની વિવિધ પરિયોજનાઓનું ઇ-લોકાર્પણ કરશે. બપોરે 3 વાગ્યે અમિત શાહ હરામીનાળા વિસ્તારની મુલાકાત લેશે. સાંજે 6 વાગ્યે તેઓ ભૂજની જેલમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ટ્રાન્સફોર્મેશન @75 કાર્યક્રમમાં જેલના કેદીઓ સાથે ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે રવિવારે તેઓ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેશે.