અમદાવાદમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો:શહેરમાં જમવા બાબતે માથાકૂટ થતા બે જૂથ આમને સામને, ધાર્મિક શબ્દોના ઉચ્ચારણ સાથે પથ્થરમારો
અમદાવાદમાં ગઈકાલે રાત્રે નોનવેજની લારી પર જમવા બાબતે માથાકૂટ થતાં મામલો ઉગ્ર બન્યો હતો. આસપાસના લોકો ભેગા થયા અને બે જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. એક ટોળાએ ધાર્મિક શબ્દોના ઉચ્ચારણ સાથે પથ્થરમારો કર્યો હતો. પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ પહોંચતા ટોળું વીખેરાઈ ગયું હતું. ઘટના સ્થળે પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો.
માધુપુરા પોલીસ સ્ટેશન હદમાં આવેલા ઈદગાહ સર્કલ પાસે નોનવેજની લારી પર કેટલાક લોકો જમી રહ્યા હતા. ત્યારે લારી ચાલક સાથે જમવા બાબતે માથાકૂટ થઈ હતી. માથાકૂટ ઉગ્ર થઈ ત્યારે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. લોકો ભેગા થતાં બે જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. પથ્થરમારો થતાં આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. ટોળાના કેટલાક લોકો ધાર્મિક શબ્દોનું ઉચ્ચારણ કરી પથ્થર ફેંકી રહ્યા હતા.
બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. માધુપુરા પીઆઇ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો ત્યારે ટોળું વિખેરાઈ ગયું હતું. પોલીસે લારી ચાલકની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બનાવ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પથ્થરમારાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.