PM મોદી આજથી ગુજરાત પ્રવાસે: મહિલાઓને સંબોધનથી લઇને વાયબ્રન્ટ સમિટની ઉજવણીમાં થશે સામેલ, બોડેલીમાં કરોડોના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

Contact News Publisher

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આજે સાંજે 6 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર, અમદાવાદ કલેક્ટર અને અમદાવાદના મેયર દ્વાર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતાં એરપોર્ટ પર મહિલાઓ દ્વારા PM મોદીનું અભિવાદન કરવામાં આવશે. કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજભવનમાં રાજકીય અને વહીવટી તંત્રની મીટિંગોનો દોર ચાલશે.

બુધવારે સવારે પીએમ મોદી સાયન્સ સિટીમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી રાજ્ય સરકારના અધિકારીઓને સન્માનિત કરશે. ત્યારબાદ પીએમ મોદી છોટાઉદેપુરમાં 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ.4505 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. રૂ.1426 કરોડના કામોનું લોકાર્પણ, રૂ.3079 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.

આ વિશે વિગતવાર વાત કરીએ તો પોતાની આ મુલાકાત દરમિયાન PM મોદી છોટાઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ રૂપિયાના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત 4505 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત 1426 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને 3079 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 277 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, 251 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ 80 કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે 23 કરોડ રૂપિયાના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ 10 કરોડ રૂપિયાના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.