હવે સ્વર્ણિમ સંકુલ પણ સુરક્ષિત નથી! તસ્કરો મંત્રીઓની ઓફિસ સુધી પહોંચ્યા, કુંવરજી બાવળિયાની ઓફિસમાંથી મોબાઈલ ચોરી
ગુજરાતમાં અવાર-નવાર સામે આવતી ચોરીની ઘટનાઓ વચ્ચે હવે ગાંધીનગરનું સ્વર્ણિમ સંકુલ પણ સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ચોરો હવે છેક મંત્રીઓની ઓફિસ સુધી પહોંચ્યા છે. વિગતો મુજબ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ મંત્રીની ઓફિસમાંથી એક વેપારીના મોબાઈલના ચોરીની ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, મંત્રીઓને મળવા આવનાર મુલાકાતીઓના મોબાઈલ બહાર મૂકવાના હોય છે.
ગાંધીનગરમાં આવેલ સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ મંત્રીઓને રોજના અનેક મુલાકાતીઓ મળવા આવતા હોય છે. જોકે મંત્રીઓને મળવા આવનાર મુલાકાતીઓને તેમના મોબાઈલ બહાર મૂકવાના હોય છે. આ દરમિયાન હવે મંત્રીની ઓફિસમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાંથી મોબાઈલની ચોરી થઈ છે. 18 ડિસેમ્બરે સ્વર્ણિમ સંકુલમાં બાવળિયાના કાર્યાલય પહોંચેલ ગાંધીનગરના કુડાસણના વેપારીના 28 હજારના મોબાઈલની ચોરી થયાની ફરિયાદ સેક્ટર-7 પોલીસમાં નોંધાઈ છે.