લોકસભાની આ 40 બેઠકો ભાજપનું બહુમતીનું સપનું તોડી નાખે તેવા સંકેત, I.N.D.I.A.ને કારણે મુશ્કેલી
લોકસભા 2024ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વખતે ભાજપની નજર હેટ્રિક પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટી સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા કબજે કરવા પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકસભા ચૂંટણીમાં NDA માટે 400થી વધુ બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે. એકલા ભાજપ માટે 370થી વધુ બેઠકો જીતવાની વાત કરી રહ્યા છે. આ માટે પાર્ટીએ ‘અબ કી બાર 400 પાર’નું સૂત્ર આપ્યું છે. પરંતુ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં 303 બેઠકો જીતનાર પાર્ટીએ 40 બેઠકો જીતી હતી જેના પર જીત-હારનો તફાવત 50 હજારથી પણ ઓછો હતો.
આગામી ચૂંટણીમાં બાજી પલટી જવાનો ભય
આટલા ઓછા માર્જિનથી જીતેલી બેઠક આગામી ચૂંટણીમાં બાજી પલટી જવાનો પણ ભય છે. જો આમ થાય છે તો ભાજપે જીતેલી આ 40 બેઠકો ઉલટફેર થવાના કારણે તેની જીતેલી બેઠકોની સંખ્યા ઘટીને 263 થઈ શકે છે. જે બહુમતીના આંકડાથી પણ ઓછી થઈ જશે. ઉલ્લેખનીય છે કે 543 સભ્યોવાળી લોકસભામાં બહુમતનો આંકડો 272 છે. 2019ની લોકસભા ચૂંટણીમાંભાજપ દ્વારા જીતેલી 77 બેઠકો પર જીત અને હારનો તફાવત એક લાખથી ઓછા મતોનો રહ્યો હતો. તેમાંથી સૌથી વધુ 30 બેઠકો એવી હતી કે જેના પર પાર્ટી કોંગ્રેસ સાથે સીધી સ્પર્ધામાં હતી. આ વખતે પણ આ બેઠકો પર જોરદાર ટક્કર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે કોંગ્રેસ અને અન્ય વિપક્ષના સાથીઓ I.N.D.I.A. ગઠબંધનમાં સાથે મળીને લડી રહ્યા હોવાથી વોટ તૂટવાની શક્યતા ઓછી થઈ ગઇ છે અને ઓછા માર્જિનથી જે બેઠકો ભાજપ જીત્યો હતો હવે ત્યાં પરિણામો વિપક્ષની તરફેણમાં અને ભાજપની વિરુદ્ધમાં જાય તેવી શક્યતા વધી ગઈ છે.