અમદાવાદમાં માતાજીને પ્રસન્ન કરવા ચડાવાઈ બકરાની બલી, દંપતીની ધરપકડ, 2 ફરાર
જમાનો ગમે તેટલો આગળ વધી જાય પરંતુ હજુ પણ કેટલીક જુની ઘસાઇ ગયેલી માનસિકતાવાળા રીત રિવાજો બંધ નથી થયા. અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુઓની બલિ ચઢાવવાનો મામલો સામે આવ્યો છે.
ઘટનાની વિગતે વાત કરીએતો ફરીયાદી મહિલાને એવી જાણ થઇ હતી કે ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુઓની બલિ ચઢાવવામાં આવી રહી છે, જે બાદ પોલીસને સાથે રાખીને ફરીયાદી મહિલા સ્થળ પર પહોંચ્યા હતા.. જ્યાંના દ્રશ્યો જોતા તેમને એ વાતનો ખ્યાલ આવ્યો કે તેમને જે માહિતી મળી હતી તે બિલકુલ સાચી હતી.. સ્થળ પર બે બકરા કપાયેલી હાલતમાં પડ્યા હતા. બલિ ચઢાવેલા બકરાના માથા માતાજીના મંદિરમાં મુકવામાં આવ્યા હતા.
તપાસ દરમ્યાન સામે આવ્યું કે દંપતિએ બલિ ચઢાવી હતી
પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યુ હતું કે રમેશ સરગરા અને લલીબેન સરગરા નામના દંપતિએ આ બલિ ચઢાવી હતી. પોલીસે આ દંપતિ અને વિધિ કરનારા બે લોકો સહિત કુલ ચાર લોકો સામે ફરીયાદ દાખલ કરી છે.
આ ઘટના બાદ સવાલ એ ઉઠ્યો છે કે આજના આધુનિક સમયમાં પણ લોકો એટલી અંધશ્રદ્ધા ધરાવે છે કે પોતાની મનોકામના પૂરી કરવા માટે નિર્દોષ પશુને મોતને ઘાટ ઉતારી દે છે.