ગુજરાતમાં ઓવરઓલ મતદાનમાં 5 ટકાનો ઘટાડો, માત્ર બનાસકાંઠામાં મતદાન વધ્યું, બાકી બધે વોટિંગ સાવ ડાઉન

Contact News Publisher

ગુજરાત લોકસભાની ચૂંટણીની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. ગત રોજ યોજાયેલા મતદાનમાં સમગ્ર ગુજરાતમાં 59.41 ટકા મતદાન થવા પામ્યું હતું. જે વર્ષ 2019 કરતા પાંચ ટકા ઓછું મતદાન નોંધાવવા પામ્યું હતું. ત્યારે 2019 માં ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી. એક સમયે ગુજરાતમાં પોતાની મજબૂત સ્થિતિ ધરાવતી કોંગ્રેસ પાર્ટીની ધીમે ધીમે પક઼ડ ઢીલી પડતા કોંગ્રેસનાં સુપડા સાફ થઈ જવા પામ્યા હતા. ત્યારે આ વખતે 2024 માં ગુજરાતની 25 લોકસભા બેઠક પર ભાજપ ભવ્ય જીત મેળવશે કે કોંગ્રેસ ફરી પોતાની મજબૂત સ્થિતિ પરત મેળવશે તે તો તા. 4 જૂનનાં રોજ માલૂમ પડશે. પણ અહીં અમે તમને બેઠક વાઈઝ ક્યાં મતદાન વધ્યું, ક્યાં ઘટ્યું એ જણાવી રહ્યા છીએ

માત્ર બનાસકાંઠાની બેઠક પર મતદાન ગઈ વખત કરતા વધ્યું છે

સરહદી વિસ્તાર એવો બનાસકાંઠા ખેતી અને પશુપાલન પર આધારીત છે. ત્યારે વર્ષ 2019 માં બનાસકાંઠામાં 65.03 ટકા મતદાન થવા પામ્યું હતું. ગત રોજ યોજાયેલ મતદાનમાં 68.44 ટકા મતદાન થવા પામ્યું હતું. ભાજપ દ્વારા મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીને ટીકીટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા હાલનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લોકસભાની ટીકીટ આપવામાં આવી હતી. ગેનીબેન ઠાકોર જેઓ ઠાકોર સમાજમાં સારૂ એવું વર્ચસ્વ ધરાવે છે. તેમજ બનાસકાંઠા જીલ્લામાં ઠાકોર મતદારો પણ વધુ છે. તેમજ વર્ષોથી આ જીલ્લો પીવાનાં પાણીની સમસ્યાથી ઝઝુમી રહ્યો છે. ત્યારે આ વખતે બનાસકાંઠા જીલ્લાનાં મતદારો દ્વારા સારા એવા પ્રમાણમાં મતદાન કર્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે વધુ મતદાન ક્યાં રાજકીય પક્ષનો ફાયદો કરાવશે.

જ્યારે ભરૂચ ગઈકાલે મતદાન વધ્યું

ભરૂચ લોકસભા બેઠકની વાત કરીએ તો ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. વલસાડ બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાને ટીકીટ આપવામાં આવી હતી. તો આદિવાસીઓમાં સારૂ એવું વર્ચસ્વ ધરાવતા છોટું વસાવા દ્વારા પણ ત્રીજા પક્ષની રચના કરી હતી અને તેમનાં નાના દીકરાને લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યો હતો. ત્યારે છોટું વસાવા જેઓ આદિવાસી નેતા તરીકે સારૂ એવું વર્ચસ્વ ધરાવે છે. જેના કારણે ભાજપને નુકશાન થવાની શક્યતાઓ છે.

ઓવરઓલ મતદાન ઘટ્યું

ગુજરાતમાં ગત રોજ યોજાયેલ મતદાનની વાત કરીએ તો વર્ષ 2019 કરતા લોકસભાની 25 બેઠકો પર મતદાન ઓછું થવા પામ્યું છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા પણ પોતાનાં સુત્રોને કામે લગાડી ક્યો ઉમેદવાર જીતશે. તેમજ કેટલી લીડ આવશે. તે તમામ બાબતો પર મંથન શરૂ કર્યું છે. આ વખતે યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની બનાસકાંઠા બેઠક પર મતદાન વધ્યું છે. જ્યારે 24 બેઠકો પર મતદાન ઘટ્યું છે. આ વખતે મતદાન ઓછું થવાનાં કારણોની વાત કરીએ તો રાજ્યમાં 28 વર્ષ બાદ મે મહિનામાં મતદાન થવા પામ્યું હતું. હવામાન વિભાગ દ્વારા પણ હીટવેવની આગાહી કરવામાં આવી હતી. જેથી મતદારોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. તેમજ હાલ સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું હોઈ લોકો વેકેશનની મઝા માણવા માટે ફરવા માટે જતા રહ્યા હોઈ મતદાન ઓછું થવા માટેનું આ પણ એક કારણ માની શકાય છે.