રૂપાલાને લીધે કેન્દ્રમાં રાજકોટનું ઘટ્યું કદ, ભાવનગરનું બમણું વધ્યું, ક્ષત્રિયો ઉપરાંત નડ્યો અગ્નિકાંડ

Contact News Publisher

ત્રીજી વાર વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીને પાયો નાખનાર અને ખુદ વડાપ્રધાન જેને કદી ભૂલ્યા નથી તે રાજકોટનું કદ કેન્દ્રમાં રૂપાલા સામેના આંતરિક વિરોધના કારણે ઘટી ગયું છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં મંત્રી પદે રહેલા પરષોત્તમ રૂપાલા ચૂંટણી લડતા હતા પરંતુ, એનડીએ સરકાર ૩.૦માં તેમનું પત્તુ ધાર્યા મૂજબ કપાઈ ગયુ છે. ત્યારે બીજી તરફ ભાવનગરના વતની અને પોરબંદરથી ચૂંટાયેલા મનસુખ માંડવિયાને સતત બીજી ટર્મમાં કેબીનેટ મંત્રી પદ મળવા ઉપરાંત ભાવનગરના જ નીમુબેન બાંભણીયાનો પણ મંત્રી મંડળમાં સમાવેશ થતા ભાવનગરનું કદ બમણું વધી ગયું છે. રૂપાલા ક્યારેય સંસદની ચૂંટણી લડ્યા ન હોવા છતાં કેન્દ્રમાં રાજ્યમંત્રી પદ અપાયું અને હવે ચૂંટણી લડીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સરસાઈથી જીત્યા છતાં મંત્રી પદ છીનવાયું છે.

ભાજપને ખોબલે ખોબલે મત મળ્યા

રાજકોટમાં 2004થી 2024 દરમિયાન 20 વર્ષમાં અને છેલ્લે 2014-2016 દરમિયાન માત્ર બે વર્ષ માટે પૂર્વ સાંસદ મોહન કુંડારિયાને મંત્રી પદ અપાયું હતું પરંતુ, તે ટર્મ પૂરી થાય તે પહેલા જ પરત ખેંચી લેવાયું હતુ. આમ, વીસ વર્ષમાં માત્ર બે વર્ષ માટે જ રાજકોટને કેન્દ્રમાં કહેવા પુરતુ સ્થાન મળ્યું છે. રાજકોટ માટે કમનસીબી એ છે કે આ મતવિસ્તારે ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે પરંતુ, છતાં રાજકોટને કેન્દ્રના મંત્રીમંડળમાં રૂપાલાના કારણે સ્થાન મળ્યું નથી.

ક્ષત્રિય સમાજનો વિરોધ અને ગેમઝોન અગ્નિકાંડ

રૂપાલાને ક્ષત્રિય સમાજનો વિરોધ ઉપરાંત ટીઆરપી ગેમઝોનનો અગ્નિકાંડ પણ નડી ગયો છે. આ બન્નેમાં રૂપાલા ઉપરાંત રાજકોટ ભાજપના નેતાઓ પણ વામણાં પૂરવાર થયા છે. ક્ષત્રિય વિરોધ જાગ્યો ત્યારે રાજકીય સમજદારી દાખવીને તે વિરોધ સમેટાવવાના પ્રયાસોને બદલે ગોંડલમાં સંમેલન યોજીને ત્યાં ક્ષત્રિયોને ધમકીભરી ભાષામાં ધરાર સમાધાનની વાત થતાં વિરોધ વધુ પ્રસર્યો હતો. તો રાજકોટમાં રૂપાલા અગ્નિકાંડ જેવી અત્યંત દર્દનાક ઘટના છતાં સ્થળ ઉપર કે સિવિલ હોસ્પિટલમાં ઘટનાના ત્રણ દિવસ સુધી ફરક્યા ન હતાં અને અસરગ્રસ્તોના ઘરે પણ ગયા ન્હોતા. આને કારણે રૂપાલાને મંત્રીપદ નથી અપાયું અને ભાજપના અન્ય નેતાઓ સામે પણ હવે પગલાં લેવામાં આવે અને નજીકના ભવિષ્યમાં ફેરફાર થાય તેવી શક્યતા હોવાનું ભાજપના સુત્રો જણાવી રહ્યા છે.