વડોદરા: કમળા-ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો : ગત વર્ષ કરતાં બે ડઝનથી વધુ અસરગ્રસ્ત

Contact News Publisher

ઉનાળો પૂરો થવા ટાણે શહેરમાં કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નાના બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પાણીજન્ય રોગચાળાની ઝપટમાં આવ્યા છે. ત્યારે વકરેલા રોગચાળાના પગલે પાલિકા તંત્રને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તે પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઈફોઈડના કેસમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગત વર્ષે જૂન મહિનાના આંકડા કરતાં આ વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધી પાણીજન્ય રોગચાળાના કેસમાં બે ડઝનથી વધુ કેસોનો વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગે ઉમેર્યું કે, શહેરમાં કમળા અને ટાઇફોઇડના કેસો આવ્યા છે તે એકંદરે તમામ વિસ્તારમાં છુટા છવાયા નોંધાયા છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં બહોળી સંખ્યામાં લોકો રોગચારાના ભરડામાં આવ્યા હોય તેવું હજુ જણાયું નથી. મોટેભાગે બહારનું ખાવાથી તથા કોન્ટામિનેશનના પ્રશ્નોના કારણે હાલ વડોદરામાં ટાઈફોઇડ અને કમળાના કેસમાં ઉછાળો જણાઈ રહ્યો છે. તેથી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ તેમ જણાવવામાં આવ્યું છે. ઉપરાંત વધેલા રોગચાળાને ધ્યાનમાં લઇ પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં મોનિટરિંગ શરૂ કરી દીધું છે. જેમાં ખાસ કરીને છાણી એકતાનગર અને નવાયાર્ડમાં પાણીના સેમ્પલિંગ વધારી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રતિ વર્ષ ઉનાળામાં કમળા અને ટાઇફોઇડના રોગમાં ઉછાળો જોવા મળતો હોય છે.