પંજાબમાં આતંકી ઘૂસ્યા: ગુરદાસપુર-પઠાણકોટમાં હાઈ એલર્ટ, બંદૂકની અણીએ બનાવડાવ્યું ભોજન

Contact News Publisher

પંજાબના સરહદી જિલ્લા ગુરદાસપુર અને પઠાણકોટમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા દાવોકરવામાં આવી રહ્યો છે કે, તેમને બે શંકાસ્પદ આતંકવાદીઓ ઘૂસી આવ્યા હોવાની માહિતી મળી છે. આ લોકો પઠાણકોટમાં ઘૂસ્યા છે. આ રિપોર્ટ બાદથી જ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.

આંતરરાષ્ટ્રીય સરહદ પાસે સ્થિત ગામ કોટ બાઠિયાંના એક ગ્રામીણે કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે મેં મારા ફાર્મ હાઉસ પાસેથી ચહેરા ઢાંકેલા બે લોકોને પસાર થતા જોયા છે. બંને ભારે હથિયારોથી સજ્જ હતા. ગ્રામીણે પોલીસને કહ્યું કે, તેઓએ મને બંદૂક બતાવીને ડિનર તૈયાર કરવામાં માટે કહ્યું. રાત્રિભોજન કર્યા બાદ તેઓ ઘરની બહાર નીકળી ગયા અને પઠાણકોટ તરફ આગળ વધ્યા હતા.

પોલાસે આ ગ્રામીણની માહિતી શેર નથી કરી. આ મામલે માહિતી મળ્યા બાદ પઠાણકોટના એસએસપી સુહૈલ કાસિમ મીરે તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી. આ ઉપરાંત ગુરદાસપુરમાં પણ વહીવટી તંત્રએ બેઠક કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જિલ્લા એસપી હરીશ દાયમાએ પોલીસ લાઇન્સમાં તમામ પોલીસ સ્ટેશનના પ્રમુખોની બેઠક બોલાવી હતી. એક અહેવાલ પ્રમાણે ગુરદાસપુરના તમામ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ટેસ્ટિંગ સઘન તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત ગુરદાસપુર, ધારીવાલ, દીનાનગરમાં પણ કડકાઈ દાખવવામાં આવી રહી છે.

ગુરદાસપુર-પઠાણકોટ-જમ્મુ નેશનલ હાઈવે પર ચૂસ્ત બંદોબસ્ત

ગુરદાસપુર-પઠાણકોટ-જમ્મુ નેશનલ હાઈવે પર પણ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે. વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. બટાલા પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. આ મામલાની માહિતી સેના અને બીએસએફ સાથે પણ શેર કરવામાં આવી છે. પઠાણકોટના એરફોર્સ સ્ટેશનને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, 2015માં પઠાણકોટમાં ત્રણ આતંકવાદી ઘૂસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો. ત્યારે પણ IBએ જાણકારી આપી હતી કે આ લોકો પઠાણકોટ જિલ્લાના બમિયાલ ગામમાંથી ઘૂસી આવ્યા હતા. આ આતંકી હુમલામાં એસપી રેન્કના અધિકારી સહિત 7 લોકો માર્યા ગયા હતા. તેના 6 મહિના બાદ જ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ એરબેઝ પર હુમલો કર્યો હતો.