કચ્છના 12 આચાર્ય સહિત ત્રણ સીઆરસીને નોટિસ ઠપકારાઇ
જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નામાંકન, ઓનલાઇન શિક્ષણની કામગીરીની ચકાસણી અને શિક્ષકોને રોટેશન મુજબ સોંપાયેલી ફરજ બાબતે નબળા દેખાવ બદલ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાના 12 આચાર્ય અને ત્રણ સીઆરસીને નોટિસ ફટકારાતાં શિક્ષક વર્તુળમાં ફફડાટ વ્યાપ્યો હતો.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપેલી વિગતો મુજબ જિલ્લાના તમામ સી.આર.સી., બી.આર.સી.ને વીડિયો કોન્ફરન્સ દ્વારા જાણ કરી તેમના તાબાની તમામ શાળાઓમાં નિયમિત સઘન મોનિટરિંગ કરી શિક્ષકો દ્વારા વાલી સંપર્ક, ડીડી ગિરનાર વંદે ગુજરાત દ્વારા પ્રસારિત થતા ઓનલાઇન શિક્ષણના કાર્યક્રમોની કામગીરીની ચકાસણી કરવી, ધો. 1માં આંગણવાડી, પંચાયત અને આરોગ્ય શાખામાં દર્શાવેલા જન્મ મુજબ શાળાઓમાં બાળકોનું નામાંકન થયું કે કેમ તેની ચકાસણી કરવી, તેમજ બાકી રહેતા બાળકોની આગામી 31મી જુલાઇ સુધી આ કામગીરી પૂર્ણ કરવી, દરેક શાળાઓમાં રોટેશન મુજબ શિક્ષકોને સોંપાયેલી ફરજ મુજબ શિક્ષકો હાજર રહે છે કે કેમ વગેરે બાબતે પરિપત્ર કરાયો છે, પરંતુ અમુક શાળાઓમાં આ કામગીરી થતી ન હોવાની ફરિયાદો બાદ જિલ્લાની 47 જેટલી શાળાની ઓચિંતી મુલાકાત લીધા બાદ ફરિયાદોમાં’ તથ્ય જણાતાં ભુજ તાલુકાની આઠ, રાપર તાલુકામાં બે ભચાઉ અને અબડાસા તાલુકાની એક-એક શાળાના આચાર્ય તથા ભુજના બે અને માંડવીના એક સીઆરસીને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત સી.આર.સી. માટે મોબાઇલ એપ બનાવાઇ છે,’ જેમાં તેમણે દરરોજ સવારે 7-30 વાગ્યે સોંપાયેલી શાળાની મુલાકાત લઇ ઓનલાઇન ડેટા ભરવાનો રહેશે. તેમજ આ ઝુંબેશ સઘન બનાવવા અન્ય તાલુકામાં પણ ક્રોસ મોનિટરિંગ કરવામાં આવશે.