ભુજમાં કોંગ્રેસ દ્વારા જાહેરમાર્ગો પર ”ખાડા પૂજન” કરાયું
કચ્છમાં થયેલ અવિરત મેઘ મહેર બાદ કચ્છ અને ખાસ કરીને ભુજમાં માર્ગોની હાલત દયનીય બની છે, વરસાદ બાદ ઠેક ઠેકાણે ઉભરાતી ગટરો અને માર્ગો અને રસ્તાઓ પર નાના મોટા ભુવા પડેલા નજરે પડી રહ્યા છે ત્યારે આજરોજ કોંગ્રેસ દ્વારા પોતાનો વિરોધ પ્રદશિત કરવા તેમજ સત્તાધીશોને ઉજાગર કરવા જાહેર માર્ગો પર ઉતરી આવી શાસ્ત્રોક્ત વિધિ થી ”ખાડા પૂજન” કર્યું હતું.
મા ન્યૂઝ સાથે વાતચીત કરતા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વરસાદ બાદ ભુજના તમામ ૧૧ વોર્ડમાં કોઈ શેરી કે રસ્તો એવો નથી જ્યાં નાના મોટા ખાડાઓ ન હોય, જેના કારણોસર રાહદારી અને વાહન ચાલકોને સતત હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ૩૫ વર્ષથી ભુજમાં શાસનધુરા પર બિરાજતા સત્તાધીશો હમીરસરને ઓગણાવવા હરખઘેલા બની ધુનારાજા ડેમના દરવાજા ચાર ચાર વખત ખોલી ખૂબ વધામણાં કર્યા છે ત્યારે તેટલી જ તત્પરતા શહેરવાસીઓની હાલાકી દૂર કરવામાં દેખાતી નથી. ત્યારે હવે ઇચ્છ્નિય છે કે સત્તાધીશો આ ખાડાઓને પણ એટલી જ તત્પરતાથી વધાવે.