અબડાસા બેઠક માટે ભાજપના ક્ષત્રિય ઉમેદવાર જાહેર, હવે કોંગ્રેસના ઉમેદવાર ઉપર ભાજપની હારજીતનો મદાર
અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાની તારીખ 9મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર જાહેર થયા બાદ 11મી ઓક્ટોબરે ભાજપે પ્રદ્યુમનસિંહ જાડેજાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. આમ છતાં ચૂંટણીમાં હજુ જોઈએ એવી ગરમી આવી નથી.
જે વચ્ચે અબડાસામાં વાગડનું દલિત હત્યા પ્રકરણ પ્રભાવી રહેશે એવી ચર્ચાએ જોર પકડયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એ માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અને દલિતો પર પ્રભુત્વ ધરાવતા જિજ્ઞેશ મેવાણીનો 3 દિવસનો પ્રવાસ પણ નક્કી થઈ ગયો છે. અલબત્ત હજુ તારીખ જાહેર નથી કરાઈ પણ એ ત્રણ દિવસમાં સમીકરણો બદલી જાય એવી ચર્ચાએ પણ જોર પકડયું છે. એમાંય ભાજપના ક્ષત્રિય ઉમેદવાર સામે કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર નક્કી કરશે તો કદાચ ચૂંટણી જંગ એકતરફી થઈ જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અપક્ષ ઉમેદવાર ક્ષત્રિય હશે તો ભાજપને નુકસાન છે અને લઘુમતિ મુસ્લિમ હશે તો કોંગ્રેસને નુકસાન કરશે. કચ્છમાં અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાગડનું દલિત પ્રકરણ પ્રભાવી રહે એવા અણસાર વર્તાઈ રહ્યા છે. જે માટે જિજ્ઞેશ મેવાણીનો ત્રિદિવસીય પ્રવાસ પણ ગોઠવાય એવી શક્યતા દર્શાવાઇ રહી છે.