ભુજ નજીક આવેલી જાણીતી સેવાકીય સંસ્થામાં એક જ દિવસમાં ૪૨ પોઝિટિવ કેસ
ભુજના આરોગ્ય વિભાગ દ્વારા ભુજોડીમાં કાર્યરત એક સંસ્થામાં 85 જેટલા કર્મચારી અને કારીગરોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકીના 42 કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. આમ એક જ દિવસમાં એક જ સ્થળેથી આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા. જો કે તંત્ર દ્વારા કચ્છભરમાં કરાતા રેપિડ ટેસ્ટમાં કેટલા લોકો સંક્રમિત છે તેની વિગતો જાહેર નથી કરાતી. ભુજોડીમાં બહાર આવેલા કેસ તો ઉદાહરણ માત્ર છે. આ હિસાબે કચ્છમાં ચેપી વાયરસ કેટલો વકર્યો હશે તેની કલ્પના કરવી રહી. તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી મોતનો આંકડો જાણે સ્થિર થઇ ગયો હોય તેમ 71 જ દર્શાવાઇ રહ્યો છે જ્યારે વાસ્તવિક સ્થિતિ ગંભીર છે તેવું અંતિમ સંસ્કારના આંકડા પરથી જણાઇ રહ્યું છે.
તો બીજી તરફ કચ્છમાં કોરોના મહામારીના વધી રહેલા કેસ વચ્ચે શનિવાર અને રવિવારના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ અંગે તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાંvવ્યા છે. ‘તંત્રની જાણ બહાર કોઇ કાર્યક્રમ કે પ્રસંગો નહીં કરી શકાય’ તે પ્રકારનો મેસેજ વાયરલ થયો હતો. જે અંગે ડિઝાસ્ટર મામલતદાર સી.આર. પ્રજાપતિનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ મુદ્દે પોલીસને તપાસની સુચના અપાઇ છે. કોઇપણ વ્યક્તિ દ્વારા આવી રીતે ખોટા મેસેજ વાયરલ કરાશે તો તેમની સામે કાર્યવાહી કરાશે.