ભુજની બહુમાળી ભવન સ્થિત સ્ટેમ્પ ડયૂટી કચેરીના કથળેલા વહીવટથી અરજદારોમાં આક્રોશ
અહીંના બહુમાળી ભવનમાં આવેલી સ્ટેમ્પ ડયૂટી કચેરીમાં અરજદારોને ભારે હેરાનગતિ ભોગવવી પડતી હોવા સાથે નિયત સમયમાં કામ પણ ન થતું હોવાની ફરિયાદ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે.
આ કચેરીના કથળેલા વહીવટથી ત્રસ્ત કેટલાક અરજદારોએ પોતાની વ્યથા વર્ણવતાં કહ્યું કે, સ્ટેમ્પ ડયૂટી કચેરીમાં કોઇપણ કામ હોય તો તેનો નીપટારો કરવા માટે એકથી વધુ વાર ધક્કા ખાવા પડે છે. કામ શા કારણે થતું નથી, તેમાં કોઇ અધૂરાશ રહી ગઇ છે કે પછી અન્ય કારણોસર કામના નીપટારામાં અવરોધ નડી રહ્યો છે એ અંગે કોઇ માહિતી, માર્ગદર્શન જ ન અપાતા હોવાના કારણે અરજદારોની હાલાકીમાં અનેકગણો વધારો થતો હોવાનું પણ ઊપસી રહ્યું છે. ખાસ કરીને આ કચેરીના વહીવટને સુધારવા માટે યોગ્ય કાર્યવાહી કરાય તો અરજદારોને રાહત રહેવા સાથે કચેરી પર પણ કામનું ભારણ ઘટે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.