કચ્છના અભ્યાસ માટે વિદેશ જતા છાત્રોને રસીનું સર્ટિ. લેવું પડશે
કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા મુજબ કોવિશિલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે 84 દિવસનો સમયગાળો રાખવાનો રહે છે. અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છુક કચ્છના જે વિદ્યાર્થીઓએ અગાઉ રસીનો પ્રથમ ડોઝ લીધો છે તેમજ 84 દિવસ પુરા નથી થયા તેવાને બીજા ડોઝમાં અગ્રતા આપવા તથા અંતિમ પ્રમાણપત્ર આપવા માટે કચ્છના નિવાસી અધિક કલેકટરને અધિકૃત કરાયા છે. આ અંગેનું પ્રમાણપત્ર ભુજ સ્થિત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રમાંથી મેળવી લેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
વિદ્યાર્થી જે દેશમાં અભ્યાસ માટે જનારો હોય ત્યાંના માન્ય વીઝા અને વેરીફીકેશન માટે નકકી થયેલા સાત ઓળખના પુરાવા પૈકી કોઇપણ એક (પાસપોર્ટને પ્રાધાન્ય આપવું) રજુ કરી સંપૂર્ણ વિગતો ભરેલું અરજીપત્રક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર પર મંજુર કરાવી આરોગ્ય વિભાગમાં રસીકરણ માટે જવાનું રહેશે.વધુ વિગતો માટે કચેરીના સમય દરમ્યાન કન્ટ્રોલ રૂમના ફોન નં.02832-251945 પર સંપર્ક કરવાનો રહેશે તેવું તંત્રની યાદીમાં જણાવાયું છે.