કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત બન્યા
સામાન્ય રીતે ‘અષાઢી બીજ વાદળ કાં વીજ’ કહેવત મુજબ કચ્છી માડુ અષાઢી બીજથી ચોમાસુ બેસ્યાનું માનતા હોય છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ જિલ્લામાં હાલે પ્રિમોન્સુન એકટીવીટી ચાલી રહી છે અને ૧પથી ર૦ જુન સુધીમાં ચોમાસુ ઢુંકળું દેખાઈ રહ્યું હોવાના કારણે ખેડૂતો ખેતી કામમાં વ્યસ્ત બન્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી હવે ચોમાસાની સીઝન પણ બારમાસી બની છે. શિયાળો હોય કે ઉનાળો દર મહિને મેઘરાજાની લટાર જોવા મળતી હોય તે વચ્ચે કચ્છ સહિત રાજ્યમાં જુન મહિનાથી ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થશે જેના પગલે ખેડૂતોએ જમીન સમતળ કરવી વાવણી સહિતની કામગીરી શરૂ કરી દીધી છે. કચ્છ જિલ્લામાં પાછલા બે ચોમાસા સારા વિતતા ઉનાળામાં પાણી માટે મોટી બુમરાડ નથી સંભળાઈ ઉપરાંત પાક પણ સારો થયો છે. જો કે કમોસમી માવઠાનો દોર અવિરત જારી રહેતા કયાંક ખેતીને નુકશાન પહોચ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તે વચ્ચે હાલમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એ મુજબ ૧પથી ર૦ જૂનના સમયગાળામા વરસાદની સત્તાવાર એન્ટ્રી થશે.
આ વર્ષે પણ સમયથી પહેલા ચોમાસુ નજીક દેખાઈ રહ્યો હોવાના અહેવાલો મળતા જગતનો તાત બિયારણની ખરીદી, જમીન સમતળ કરવાની કામગીરી ઉપરાંત ખેતરોના શેઢે પાળ બાંધવા, ખેતરોમાં છાણીયું ખાતર અને માટી નાખવા તથા ચોમાસુ પાકની વાવણી સહિતની કામગીરીમાં જોતરાઈ ગયા છે ત્યારે નખત્રાણા તાલુકાના નેત્રા ગામે છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણીય બદલાવ જણાઈ રહ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે આગામી દિવસોમાં મેઘરાજાનું વિધિવત આગમન થાય તેવું લાગી રહ્યું છે. જેના પગલે ખેડૂતો ખેતી કામમાં વ્યસ્ત બન્યા છે. તો વેપારીઓ પણ ચોમાસા સંલગ્ન વસ્તુઓાથી પોતાની દુકાનો સજાવી રહ્યા છે.