ભાઈ 430 કિમી બાઇક ચલાવીને ઘરે પહોંચ્યો અને બહેનની સળગતી ચિતામાં કૂદી પડ્યો
ધ્યપ્રદેશના સાગર નજીક મઝગુંવા ગામમાં એક યુવકે તેની પિતરાઈ બહેન માટે ચિતા પર ઊંઘીને જીવ આપી દીધો છે. બહેનનું કૂવામાં પડવાથી મોત થયું હતું. ખબર મળતાં જ 430 કિમી દૂર ધારથી તેનો કઝિન ભાઈ ઘરે આવ્યો હતો. તે સીધો સ્મશાન ઘાટ જ ગયો હતો. ત્યાં જઈ સળગતી ચિતાને પગે લાગીને તેના ઉપર સૂઈ ગયો હતો. કરણ ખૂબ વધારે દાઝી ગયો હતો, તેથી તેને હોસ્પિટલ લઈ જતા સમયે જ તેનું મોત થયું હતું.
36 કલાક પછી પરિવારજનોએ રવિવારે સવારે બહેનની ચિતા પાસે જ કરણના પણ અંતિમસંસ્કાર કરી દીધા હતા. આ ગામ મધ્યપ્રદેશના સાગરથી 20 કિમી દૂર છે.
જ્યોતિ સાથે શું થયું હતું?
જ્યોતિ ઉર્ફે પ્રીતિ ગુરુવારે સાંજે 6 વાગે ખેતર ગઈ હતી, પરંતુ 3 કલાક થયા છતાં તે પાછી નહોતી આવી. જ્યોતિના મોટા ભાઈ શેરસિંહ ઠાકુરે કહ્યું હતું કે તે ખેતરમાં શાક લેવા ગઈ હતી. જ્યોતિ આ પહેલાં પણ ઘણી વાર સાંજે ખેતરમાં શાક લેવા જતી હતી, પરંતુ મોડી સાંજ સુધી ઘરે ના આવી તો અમને લાગ્યું કોઈ બહેનપણીને ત્યાં ગઈ હશે. રાતના 12 વાગ્યાથી તપાસ શરૂ કરી, પરંતુ જ્યોતિ ગામમાં ક્યાંય ના મળી.
શુક્રવારે સવારે 9 વાગે જ્યોતિના પિતા ભોલે સિંહ ખેતર ગયા. તેમને શંકા થઈ કે કદાચ જ્યોતિ કૂવામાં પડી ગઈ હોય તો, તેથી તેમણે મોટરથી કૂવાનું પાણી ખાલી કરાવ્યું. બે કલાક પછી 11 વાગતાં કૂવામાં જ્યોતિ પડેલી દેખાતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે કૂવામાંથી જ્યોતિનો મૃતદેહ બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. આ વિશે ધારમાં રહેતા જ્યોતિના ભાઈ કરણને જાણ થતાં તે ઘરેથી બાઈક લઈને જ નીકળી ગયો હતો.
જ્યોતિના શુક્રવારે સાંજે અંતિમસંસ્કાર કરાયા
બહેરિયા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર દિવ્ય પ્રકાશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ પછી જ્યોતિનો મૃતદેહ શુક્રવારે સાંજે સોંપી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી પરિવારજનોએ ગામની પાસેના જ સ્મશાનમાં તેના અંતિમસંસ્કાર કર્યા હતા. જ્યોતિના મોટા ભાઈ શેર સિંહે જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે 6 વાગે અંતિમસંસ્કાર કર્યા પછી ગામના દરેક લોકો ઘરે પરત આવી ગયા હતા. ત્યાં સુધીમાં કરણ ઠાકુર ત્યાં નહોતો પહોંચ્યો.
શનિવારે સવારે 11 વાગે ગામના અમુક લોકોએ જણાવ્યું કે જ્યોતિની ચિતા પાસે તેનો ભાઈ આગમાં દાઝેલો પડ્યો છે. કરણ ઘણીવાર મઝગુંવા ગામ આવતો હોવાથી ગામના લોકોને પણ કરણને સારી રીતે ઓળખતા હતા.
હોસ્પિટલ લઈ જતા સમયે થયું કરણનું મોત
કરણના દાઝવાની માહિતી તેના પિતા ઉદય સિંહને આપવામાં આવી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે જ્યોતિના સમાચાર મળતાં જ કરણ ધારથી બાઈક લઈને મઝગુંવા આવવા નીકળી ગયો હતો. શેરકરણ સવારે 7થી 9 વાગ્યાની વચ્ચે સ્મશાન પહોંચ્યો હશે અને તે સળગતી ચિતા પર સૂઈ ગયો હશે. ગામના લોકોએ તેને અંદાજે 11 વાગતા જોયો હતો. ત્યારે અમે તેને લઈને હોસ્પિટલ ગયા, પરંતુ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધો હતો.
માતા-પિતાના આવ્યા પછી અંતિમસંસ્કાર કરાયા
શનિવારે બપોરે કરણના મોત પછી તેનો મૃતદેહ પણ પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. શનિવારે સાંજે પોલીસે મૃતદેહ પરિવારજનોને સોંપી દીધું હતું, પરંતુ ત્યાં સુધી કરણનાં માતા-પિતા સાગર પહોંચ્યા નહોતા. રાતે માતા-પિતા મઝગુંવા પહોંચ્યા ત્યારે તેમની હાજરીમાં રવિવારે સવારે જ્યાં જ્યોતિના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા એની બાજુમાં જ કરણના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.