માળીયાના યુવાને માથાભારે શખ્સોના ત્રાસથી કંટાળી ગુહમંત્રી પાસે ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મીઠાના અગરમાં કામ કરીને રોજીરોટી મેળવતા શ્રમિકે માથાભારે શખ્સોના ત્રાસથી કંટાળીને અંતે ઇચ્છા મૃત્યુની મંજૂરી માંગતા ખળભળાટ મચી ગયો છે. તેમણે મુખ્યમંત્રી અને ગુહમંત્રીને રજૂઆત કરીને તેમના મીઠાના અગરમાં માથાભારે શખ્સોએ કરેલા દબાણો દૂર કરી તેમની સામે કાર્યવાહી કરવા અન્યથા ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવા જણાવ્યું છે.
અગાઉ કલેક્ટરને રજૂઆત કરી હતી
મોરબી જિલ્લાના માળીયા બગસરા ગામના શ્રમિક વાઘેલા કિશોર સુજાભાઈએ સ્થાનિક કલેકટર તેમજ મુખ્યમંત્રી અને ગુહમંત્રીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, તેમને રોજીરોટી માટે બગસરા ગામે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં કલેકટર દ્વારા અગાઉ મીઠાનું ઉત્પાદન કરવા ખરાબાની જગ્યા ફાળવી હતી. પરંતુ અમુક માથાભારે શખ્સો લેન્ડ ગ્રેબીગની અરજી કરી હતી. જેની કલેકટરને પણ રજૂઆત કરી હતી.
30 દિવસમાં કાર્યવાહીની માંગ
આ માથાભારે શખ્સો ગેરકાયદેસર કબ્જો ધરાવી ત્રાસ આપતા હોય માળીયા પોલીસ મથક અને એસપી સુધી રજૂઆત કરવા છતાં તેમની સામે ફોજદારી કાર્યવાહી થઈ નથી. આથી 30 દિવસમાં આ માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, અન્યથા ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવાની માંગ કરી છે.