ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો “હર ઘર તિરંગા” અભિયાનમાં ઉત્સાહભેર જોડાશે
ભુજ ધામના પૂજય સ્વામીશ્રી સુખદેવ સ્વરૂપદાસજીની ભારતવાસીઓ, કચ્છવાસીઓ અને દેશ-વિદેશના હરીભક્તોને ઘરે ઘરે તિરંગો લહેરાવવા અપીલ
૦૦૦૦
ભુજ,
”હર ઘર તિરંગા” અભિયાનમાં ભાગીદાર બનવા સમગ્ર દેશ થનગની રહ્યો છે. તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી નાગરિકો પોતાના ઘર, દુકાન, જાહેર સ્થળો, કોમર્શીયલ ઇમારતો, ઉદ્યોગ સંસ્થાનો, સામાજિક અને સહકારી સંસ્થાઓ વગેરે જગ્યાએ શાનથી રાષ્ટ્રધ્વજને લહેરાવશે. ત્યારે આ અભિયાનમાં કચ્છ જિલ્લાનું ભુજ સ્વામિનારાયણ મંદિર ધામ પણ જોડાયું છે. સ્વામિનારાયણ મંદિરના સંતો ધામધૂમ અને ઉત્સાહ સાથે “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી કરશે. આ સાથે સંતોએ દેશવાસીઓ, કચ્છીઓ અને દેશ-વિદેશમાં વસતા હરિભક્તોને પણે ઘરે ઘરે તિરંગો લહેરાવવા અપીલ કરી છે.
ભુજ મંદિરધામના પૂજ્ય સ્વામીશ્રી સુખદેવ સ્વરૂપદાસજીએ “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાવા સર્વે દેશ- વિદેશમાં વસતા ભારતવાસીઓ અને કચ્છીઓને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજ આપણું સ્વાભિમાન છે. વડાપ્રધાનશ્રીએ તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી તિરંગાને ગૈારવભેર સન્માન સાથે લહેરાવવા અપીલ કરી છે. ત્યારે દરેક નાગરિકને તિરંગાને વંદન કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે. છેલ્લા એક વર્ષથી આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત સરકાર દ્વારા વિવિધ ઉજવણી કરાઇ રહી છે. દરેક લોકોને અમૃત જેવું જીવન પ્રાપ્ત થાય તે માટે સરકાર વિકાસકાર્યો કરવા કટિબદ્ધ છે. ત્યારે આપણા સૌ નાગરિકોની ફરજ છે કે, આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાઇને દેશભક્તિની ભાવના વ્યકત કરીએ. સ્વામિનારાયણ મંદિર ભુજ ધામ આ અભિયાનમાં જોડાઇ ચુકયું છે ત્યારે દરેક દેશવાસીઓ પણ આ અભિયાનનો હિસ્સો બને.
આ તકે ભુજધામના મહંત સદગુરૂ સ્વામીશ્રી ધર્મનંદનદાસજી તરફથી પાઠવવામાં આવેલા સંદેશને વ્યકત કરતા સ્વામીશ્રી સુખદેવ સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, દરેક હરિભક્તો માત્ર ઘર, શાળા, કોલેજ, દુકાન કે ઉદ્યોગ પર તિરંગો લહેરાવે જ, પરંતુ સાથે રાષ્ટ્રધ્વજને હ્રદયસ્થ પણ કરે. દેશભક્તિ અને દેશદાઝની ભાવના દરેક નાગરિકના હ્રદયમાં હંમેશા રહેવી જોઇએ.
જિજ્ઞા વરસાણી
japanese type beat