ભુજ શહેરના ૩ રિલોકેશન સાઈટના રોડ માટે રૂા. ૮૩૦ લાખની ફાળવણી
ભુજ : શહેરની ત્રણ રીલોકેશન સાઈટના રોડ-રસ્તાઓ માટે રાજ્ય સરકાર દ્વારા ડામર રોડ રીસર્ફેસીંગ માટે રૂ.૮૩૦ લાખની ફાળવણી કરવામાં આવી હતી.
આ બાબતે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકા દ્વારા ભુજની ત્રણ રીલોકેશન સાઈટમાં ઘણાં લાંબા સમયથી જે ડામરના રોડ રીસર્ફેસીંગ કરવામાં નથી આવ્યા તેના માટે રાજ્યસરકાર પાસે ગ્રાન્ટની ફાળવણી માટે દરખાસ્તો કરવામાં આવી હતી. આ ગ્રાન્ટ માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યના પ્રયત્નોથી મંજૂરી મળી છે. આવનારા દિવસોમાં દિવાળી પહેલા આ કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવશે.
ભુજ નગરપાલિકા દ્વારા નવી ચૂંટાયેલ પાંખ આવ્યા બાદ શહેરના ચોતરફા વિકાસને ધ્યાને રાખીને સ્મૃતિવન આઉટસાઈડ બ્યુટીફીકેશન ભાડાની ગ્રાન્ટની મદદથી ચાલુમાં છે તેમજ અમૃતની ગ્રાન્ટમાંથી મંગલમથી લેકવ્યુ બ્યુટીફીકેશન, પ્રીન્સ રેસીડેન્સીથી ખાવડા રોડ જતા રસ્તે વચ્ચેના ડીવાઈડરનું કામ, બીએસેફ – ચંગલેશ્વર ફુટપાથ તેમજ ચંગલેશ્વર મંદિરથી મીરઝાપર જતા રસ્તેથી પ્રમુખસ્વામી નગર ફુટપાથનું પણ કામ ચાલુમાં છે તેમજ ઉપલીપાળ રોડ પર ઈન્દ્રાસિહના આરા પાસે કલ્ચરલ પાર્ક, યુપીડી ગ્રાન્ટ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાના કામ ચાલુમાં છે. આવનારા દિવસોમાં પુરુષોત્તમ પાર્કના કામનું ખાતમુહુર્ત તેમજ ભાડાની ગ્રાન્ટ અંતર્ગત ચંગલેશ્વર ટાંકાનું કામ શરૂ કરવામાં આવશે.૧૫મા નાણાપંચ અંતર્ગત ભુજ શહેરની વિવિધ સોસાયટીના પુલો, ખારી નદી મધ્યે નવું સ્મશાન ગૃહ, ભુજ શહેરના તમામ સર્કલનું રીસર્ફેસીંગ જેનું ટેન્ડરીંગ કરી નાખવામાં આવેલ છે, તેનું કામ આવનારા દિવસોમાં શરૂ કરવામાં આવશે.
ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગતભાઈ વ્યાસ, દંડક અનીલભાઈ છત્રાળા અને સત્તાપક્ષના નેતા અશોકભાઈ પટેલ તેમજ નગરસેવકો સૌ સાથે મળીને આ કામગીરી પર પાડી રહ્યા છે. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, કચ્છ મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાનું પણ સતત માર્ગદર્શન ટીમને મળી રહ્યું છે.