લમ્પીગ્રસ્ત ગાયો-નંદીની સારવાર અને દેખભાળ માટે માધાપરમાં દાતાઓના સહયોગથી શરૂ કરાઇ આઇસોલેશન હોસ્પિટલ
કચ્છ માધાપર લેવા પટેલ જ્ઞાતિ મંડળ પ્રેરિત અને યુવક સંઘ સંચાલિત સેન્ટર પર ૬૦ સ્વયંસેવકો દ્વારા ખડેપગે કરાતી ગાયોની સુશ્રુષા
૦૦૦૦
માધાપર નવાવાસ પંચાયત અને ભુજ પાલિકાનો સાધનિક સહયોગ : ગુજરાત સરકારે રખડતી ગાયોની સારવાર માટે કેન્દ્ર પર ચાર ડોકટરની ટીમ તૈનાત કરી
ભુજ,
કચ્છમાં ગાય સંવર્ગના પશુઓમાં પ્રવર્તી રહેલા લમ્પી ચર્મ રોગ વાયરસના નિયંત્રણ માટે રાજય સરકાર સક્રીયતાથી અસરકારક કામગીરી કરી રહી છે. ત્યારે આ કાર્યમાં સરકારના સહયોગથી સામાજિક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિ મંડળો, સ્વયંસેવકો વગેરે જોડાઇને રોગગ્રસ્ત ગાયો અને નંદીઓની સેવા – સુશ્રુષા કરી રહ્યા છે. માધાપર ખાતે ગાય સંવર્ગના પશુઓની સારવાર અને દેખભાળ માટે દાતાઓ, પંચાયત અને ભુજ પાલિકાની સાધનીક મદદ અને સરકારના મેડીકલ સહયોગથી બે દિવસ પૂર્વે અલાયદી આઇસોલેશન હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જયાં રખડતા લમ્પીગ્રસ્ત પશુઓને લાવીને સ્વયંસેવકો દ્વારા સુશ્રુષા શરૂ કરવામાં આવી છે.
આ આઇસોલેશન હોસ્પિટલ અંગે સ્વયંસેવક નારણભાઇ ભુડીયા જણાવે છે કે, લેવા પટેલ માધાપર જ્ઞાતિ મંડળના એનઆરઆઇ અને સ્થાનિક દાતાશ્રીઓના સહયોગથી કચ્છ માધાપર લેવા પટેલ જ્ઞાતિ મંડળ પ્રેરિત અને લેવા પટેલ યુવક સંઘ સંચાલિત સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
અગાઉ ભુજ ખાતે સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત આઇસોલેશન સેન્ટર પર માધાપર અને આસપાસના ગામની ગાયો અને નંદીને મોકલવામાં આવતા હતા. પરંતુ જગ્યાની જરૂરિયાત વધતા હવે માધાપરમાં જ અલાયદી હોસ્પિટલ ઉભી કરાઇ છે. જયાં રાત-દિવસ ૬૦ સ્વયંસેવકો દ્વારા ખડેપગે ગાયોની સુશ્રુષા કરવામાં આવી રહી છે. આઇસોલેશન હોસ્પિટલની જમીન વિશાળ હોવાથી જે ગાયો ગંભીર નથી તેઓને સારવાર અને ખોરાક આપ્યા બાદ અહીંના ખુલ્લા ચોગાનમાં જ ચરવા પણ મુકવામાં આવે છે, જેથી તે મુકતપણે ફરી શકે. જયારે જે ગાય કે નંદી ચાલી નથી શકતા તેઓને સરકાર દ્વારા મુકવામાં આવેલા ચાર ડોકટરની ટીમ દ્વારા મોનીટરીંગ કરીને નિયમિત દવા અને સારવાર કરાય છે. ઉપરાંત ગાયોને માખી- મચ્છરોનો ત્રાસ ન થાય તે માટે મોટા કુલર પણ મુકવામાં આવ્યા છે. આ કાર્યમાં નવાવાસ પંચાયત અને ભુજ નગર પાલિકા દ્વારા પશુઓને સેન્ટર સુધી લઇ આવવા માટે વાહનોનો સહયોગ આપવામાં આવ્યો છે.
સ્વયંસેવક મુકેશભાઇ વરસાણીના જણાવ્યા અનુસાર, એલોપેથી સારવાર સાથે આયુર્વેદિક ઉકાળા આપવામાં આવે છે. આ ઉકાળો અહીંના પશુઓની સાથે સાથે ગામમાં ફરતા સ્વસ્થ પશુઓને પણ પીવડાવવામાં આવે છે. તેઓની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આ ઉકાળો પીવડાવવામાં આવે છે. અમને જયાંથી કોલ આવે ત્યાંથી તેમજ રાત્રે ગામમાંથી બીમાર ગાયોને રેસ્કયુ કરીને લાવવામાં આવે છે. જયાં સુધી તેઓ સ્વસ્થ ન થાય ત્યાં સુધી અહીં સારવાર આપવામાં આવશે.
જિજ્ઞા વરસાણી
15 thoughts on “લમ્પીગ્રસ્ત ગાયો-નંદીની સારવાર અને દેખભાળ માટે માધાપરમાં દાતાઓના સહયોગથી શરૂ કરાઇ આઇસોલેશન હોસ્પિટલ”