ગાંધીધામમાં સફાઈ કરવા બે જેસીબી, ટ્રેક્ટર અને 100 વધુ રોજમદારો નિયુક્ત કરાશે
ગાંધીધામ સ્વચ્છતાની રેન્કિંગમાં 114 થી ગગડીને 303 થઈ ગયાનો રિપોર્ટ સામે આવ્યા બાદ સફાળી જાગેલી નગરપાલિકાએ સેનેટરી વિભાગની બેઠક બોલાવીને કઈ દિશામાં પગલાઓ ભરવા તે માટેનો પ્લાન બનાવ્યો હતો. આ અંગે સતાવાર રુપે દિવાળી સહિતના તહેવારો આવનારા હોઇ તેને અનુલક્ષીને સફાઈ અંગેની યોજના માટે બેઠક બોલાવાઈ હોવાનું જણાવાયું હતું. જેમાં સફાઈ માટે અતીરીક્ત રુપે બે જેસીબી, બે ટ્રેક્ટર અને 100 જેટલા કામદારોની નિયુક્તી પણ કરવાનો નિર્ણય લેવાયો હતો.
ગાંધીધામ આદિપુરમાં સફાઈ અંગે છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતિઓ ગબડી રહી હોવાની ફરિયાદ ઉઠતી રહી છે. આ અંગે તાજેતરમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ આ પરિસ્થિતિઓનો પડઘો જોવા મળ્યો હોય તેમ રેંક મોટા પાયે અધોગતિ પામ્યો છે. તેમજ નવરાત્રી બાદ હવે દિવાળી આવી રહી છે ત્યારે સફાઈને લઈને ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા દ્વારા સેનેટરી ચેરમેન કમલ શર્મા, ઈન્સ્પેક્ટરો અને વિભાગના સ્ટાફ સાથે બેઠક યોજીને આગળની યોજનાની બનાવી હતી.
સુત્રોએ જણાવ્યું કે શહેરમાં સફાઈનો મેગા સફાઈ અભિયાન બે દિવસમાં શરૂ કરાશે, જેમાં દરેકે દરેક એરીયાને કવર કરી લઈ કચરા ઉપાડ, મલબો ઉપાડ, બાવળ કટીંગ સહિતના પગલાઓ ઉઠાવાશે. જે માટે જરૂરી વધુ સંશાધનો પણ હાયર કરવામાં આવશે.
હાલ આઉટસોર્સમાં આપેલા કામોમાં પણ સંતોષ જનક કામગીરી નહિ, સર્વેલન્સ રખાશે
ગાંધીધામ આદિપુરમાં તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વિસ સિવાય ગલીઓની સફાઈ માટે પાલિકા હસ્તક ખુબ ઓછા કાયમી રોજમદારો રહ્યા હોવાથી કેટલાક વિસ્તારોમાં આ કાર્યોને આઉટસોર્સ કરવામાં આવ્યા છે. તે વિસ્તારોમાં પણ જે તે ઠેકેદારો દ્વારા યોગ્ય કામગીરી ન કરાતી હોવાનું સામે આવતા સર્વેલન્સ રાખવામાં આવશે.
ભારતનગરમાં સફાઈ માટે આઉટસોર્સીગની તૈયારી
શહેરના ભારતનગર વિસ્તારમાં સફાઈ કામગીરી અંગે ઉઠતી રાવ વચ્ચે રોજ સફાઈ કામગીરી કરવા અન્ય કેટલાક વિસ્તારની જેમ આઉટસોર્સથી કામ આપવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પરંતુ હાલ જ્યારે વર્તમાન એજન્સીઓ પણ યોગ્ય સમયે ચુકવણુ ન થતા કામ બંધ કરી ચુકી છે ત્યારે આ તમામ મોટા આયોજનો માટેનો ખર્ચ પાલિકા કેમ કાઢશે તે યક્ષપ્રશ્ન છે.