કોરોના પછી યુવાનોમાં હાર્ટ-એટેકનું પ્રમાણ વધ્યું, જંકફૂડ, ફાસ્ટફૂડ અને પ્રિઝર્વેટિવ ફૂડ બને ત્યાં સુધી ખાવાનું ટાળો

Contact News Publisher

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે માસુમ બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકો મોતને ભેટતા હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરી અત્યારસુધી આવા બનાવની અંદર હાર્ટ એટેકથી માત્ર વૃદ્ધ લોકોના મોત થતા હોવાનું સામે આવતું હતું. પરંતુ તબીબોના તારણ અને અનુભવ મુજબ હવે કોરોના પછી યુવાનોમાં પણ હાર્ટ-એટેકના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. લોહી જામી જવું અથવા લોહીના ગઠ્ઠા થઈ જવાથી હાર્ટ-એટેકના બનાવ બનતા હોય છે.

જાણીતા હાર્ટ-સ્પેશિયાલિસ્ટની વાત
રાજકોટ શહેરના જૂના અને જાણીતા હાર્ટ-સ્પેશિયાલિસ્ટ ડો.રાજેશ તેલીએ  વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન જોવા મળ્યું હતું કે, દર્દીઓનું લોહી જાડું થઈ જતું હતું. ડી ડાયમર ટેસ્ટ કરવામાં આવતા તે જાણી શકાતું હતું. કોરોના દરમિયાન પણ હાર્ટ-એટેકથી મોતના ઘણા કેસ સામે આવ્યા હતા. કોરોના પછીના સમયની અંદર જે લોકોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવા રોગ હોય તો તેઓ પર હાર્ટ-એટેક જોખમ વધુ રહે છે. આવા દર્દીઓએ સમયાંતરે ચેકઅપ કરાવી તબીબોની સૂચના મુજબ સારવાર લેવી જોઈએ.

ખાસ એક્સર્સાઈઝ ટ્રેડમિલ ચેક કરવું
ડો.રાજેશ તેલીએ વધુમાં જણાવ્યું હતું કે, જે લોકોને કોરોના થઈ ગયો છે અને જે લોકોની ઉંમર 30 વર્ષથી વધારે છે તે લોકોએ ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરાવી ખાસ એક એક્સર્સાઈઝ ટ્રેડમિલ ચેક કરવું જોઈએ. આ સાથે જ બ્લડના રિપોર્ટ, બ્લડપ્રેશરનો રિપોર્ટ અને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. જેથી એકાએક હાર્ટ એટેકનો અને અચાનક મૃત્યનો સામનો ન કરવો પડે.

લોહી જામી જવાને કારણે હાર્ટ-એટેક વધી રહ્યા છે.(પ્રતીકાત્મક તસવીર)
લોહી જામી જવાને કારણે હાર્ટ-એટેક વધી રહ્યા છે.

ઠંડીમાં હૃદયની બીમારીવાળાં બાળકો પર જોખમ
જ્યારે બાળકોમાં હાર્ટ-એટેકના બનાવ અંગે વાત કરતા ડો. રાજેશ તેલીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે નાની ઉંમરનાં બાળકોમાં હાર્ટ એટેકના બનાવ જોવા મળતા નથી. જ્યારે બાળકને જન્મથી હૃદયનો વાલ્વ સાંકડો હોય, હૃદયની નીચે પડદો જાડો થઇ ગયો હોય અથવા હૃદયમાં કોઈ ખામી હોય તેવા કેસમાં બાળકોમાં હાર્ટ એટેકના બનાવ બનતા હોય છે. ખાસ ઠંડીનું પ્રમાણ વધે ત્યારે આવા બાળકોમાં હાર્ટ-એટેકના બનાવ વધવાની પૂરી શક્યતા છે.

બાળકોને તણાવ આપવાથી મુશ્કેલી વધી શકે છે
ડો. રાજેશ તેલીએ વધુમાં જણાવ્યું હતું કે બાળકોમાં 0.1 ટકા અને એડલ્ટમાં 2થી 3 ટકા કેસ જોવા મળે છે. પણ બાળકોના અપવાદરૂપ કિસ્સા હોય છે. બાળકોને તણાવ આપવાથી મુશ્કેલી વધી શકે છે. આ અટકાવવા માટે વાલીઓએ અને શિક્ષકોએ અગત્યનો ભાગ ભજવવાનો છે. શિક્ષણનો સ્પર્ધાત્મક બોજો બાળકની માનસિક અને તંદુરસ્તી વિકાસ માટે જોખમી સાબિત થઇ શકે છે. અભ્યાસનો બોજો એવો ન જોઈએ કે, તેના શોખ અને આવડત મુજબ તેને અભ્યાસ ન કરવા દેવો.

ફાસ્ટફૂડ ખાવાનું ટાળો (પ્રતીકાત્મક તસવીર)
ફાસ્ટફૂડ ખાવાનું ટાળો

ઘરમાં નિયમિત લીલોતરી શાકભાજી આરોગો
ઉલ્લેખનીય છે કે ખોરાકમાં પણ વધતા જતા જંકફૂડ, ફાસ્ટફૂડ અને પ્રિઝર્વેટિંવ ફૂડ આરોગવાના કારણે બાળકો અને યુવાનોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી બને છે. ખાસ આ બધા જંકફૂડ, ફાસ્ટફૂડ અને પ્રિઝર્વેટિંવ ફૂડ બને ત્યાં સુધી ખાવાનું ટાળવું જોઈએ. ઘરમાં નિયમિત લિલોતરી શાકભાજી અને દરરોજ પૌષ્ટિક આહાર લેવો જોઈએ. આ સાથે ફ્રૂટ અને કઠોળ વધુ પ્રમાણમાં ખવાય તેવું પણ આયોજન કરવું જોઇએ. જેથી રોગ પ્રતિકારક શક્તિ સારી રીતે જળવાય રહે.

તાજેતરમાં રાજકોટમાં ઠંડીથી છાત્રાનું લોહી જામી જતાં મોત થયું હતું
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે. ત્યારે 11 દિવસ પહેલા જ ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણમાં 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ સંચાલકોએ તાકીદે સ્કૂલવેનમાં દોશી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં વિદ્યાર્થિનીનું મોત નિપજ્યાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહને પી.એમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

વાંચો શું હતો સમગ્ર બનાવ
આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરના ઢેબર રોડ પર ગોપાલનગરમાં શેરી નંબર 4માં રહેતી અને ગોંડલ રોડ પર એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી રીયા કિરણકુમાર સાગર (ઉં.વ.17)એ આજે 11 દિવસ પહેલા સવારે 7.10 વાગ્યા આસપાસ સ્કૂલવેનમાં બેસી પોતાની સ્કૂલે ગઈ હતી. 7.30ની આસપાસ સ્કૂલે પહોંચીને પ્રાથનાખંડમાં પ્રાર્થના કરી હતી. બાદમાં ધોરણ 8ના ક્લાસમાં પ્રવેશ્યા બાદ રિયાને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ સંચાલકોએ 108ને જાણ કરી હતી. આમ છતાં સમયસૂચકતા દાખવી સ્કૂલ સંચાલકોએ રીયાને બેશુદ્ધ હાલતમાં સ્કૂલવેનમાં બેસાડી તાકીદે દોશી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે ઇસીજી રિપોર્ટ કર્યા બાદ રિયાને મૃત જાહેર કરી હતી.

ડોક્ટરોએ ઇસીજી કરતાં રિયાને મૃત જાહેર કરી હતી.
ડોક્ટરોએ ઇસીજી કરતાં રિયાને મૃત જાહેર કરી હતી.

મારી દીકરી 10 જ મિનિટમાં જતી રહી મને છોડીને: માતા
રિયાના માતા જાનકીબેને જણાવ્યું હતું કે, આવી દુ:ખદ ઘટના કોઈ પણ સાથે ન થાય એટલા માટે મારું કહેવું છે સ્કૂલવાળાને કે, શિયાળામાં બની શકે તો સ્કૂલનો ટાઈમ તમે મોડો રાખો, સવારના વહેલો ના રાખો. છોકરાઓને આટલી કડકડતી ઠંડીમાં આવવું પડે, ઇવન તમે એને સ્વેટર પહેરવા માટે મજબૂર કરો કે એ સ્કૂલના જ સ્વેરટ પહેરીને આવે. છોકરાઓ એમાં ઠંડી ના ઝીલી શકે. જાડા જેકેટ પહેરીને આવે તો આવા દો એને. આવું ના કરો અને બની શકે તો મોડો જ રાખો સ્કૂલનો ટાઈમ. એટલી મારી રીકવેસ્ટ છે. મેં મારી ફૂલ જેવી દીકરીને ખોઈ નાખી છે. મારી દીકરીને કોઈ હૃદયની નહીં, કોઈ પણ જાતનો એને રૂંવાડે પણ રોગ નહતો. આ બ્લડ એને જામી ગયું એના હૃદયમાં એને લીધે એની બધી નળીઓ બંધ થઈ ગઈ. એમાં મારી દીકરી 10 જ મિનિટમાં જતી રહી મને છોડીને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *