રંગાઈપુરા ગામની પાસે બાઈક ઝાડ સાથે અથડાતા પતિનું મોત નીપજ્યું.

Contact News Publisher
આણંદ જિલ્લાના પેટલાદ-નડિયાદ રોડ ઉપર આવેલા રંગાઈપુરા ગામ નજીકના મંદિર પાસે રવિવારે સાંજે એક મોટરસાયકલ ખાડામાં ખાબકતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાયું હતું.

જેમાં મોટરસાયકલ પર સવાર કસારીના દંપતિ પૈકી પતિનું ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ હતી.ખંભાત તાલુકાના કસારી ગામે આવેલી જીઆઈડીસીની એક રાઈસ મીલમાં રહેતા અશોકભાઈ ફકીરભાઈ રાણા રવિવારે પત્ની અંજનાબેન સાથે મોટરસાયકલ પર સવાર થઈ નડિયાદથી ખંભાત પરત આવવા નીકળ્યા હતા. દરમિયાન સાંજે તેઓનું મોટરસાયકલ રંગાઈપુરા પાસે આવેલા ગણપતિ મંદિર નજીકથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે રોડની સાઈડમાં પડેલા ખાડામાં મોટરસાયકલ ખાબકતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.

જેથી મોટરસાયકલ નજીકમાં આવેલા એક ઝાડ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં અશોકભાઈને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે ઈજાગ્રસ્ત અંજનાબેનને ૧૦૮ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે અંજનાબેન રાણાએ પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.