પતિનું બીમારીથી મૃત્યુ થતાં પત્નીએ આર્મી-અનાથાશ્રમના નામે પોતાની 50-50 ટકા સંપત્તિ લખી એસિડ પી લીધું, ગંભીર

Contact News Publisher

વર્ષોથી બીમાર પતિનું નજર સામે મૃત્યુ થયાના બે કલાક બાદ એકલા રહેલા મહિલાએ પતિના મૃતદેહ પર વસિયતનામું મૂકી પોતે પણ એસિડ ગટગટાવી લેતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, નિ:સંતાન મહિલાએ વસિયતનામામાં પોતાની કુલ સંપત્તિમાંથી 50 ટકા આર્મીને અને 50 ટકા અનાથાશ્રમને લખી આપી હતી.

શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટના ફ્લેટ નં.902માં રહેતા પારૂલબેન વિનુભાઇ દોશી (ઉ.વ.45)એ શુક્રવારે બપોરે એકાદ વાગ્યે પોતાના ઘરે એસિડ પી લેતાં તેમને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ મિતલબેન સહિતનો સ્ટાફ દોડી ગયો હતો, પારૂલબેનના આપઘાતના પ્રયાસનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી તો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટના પોતાના ફ્લેટમાં પારૂલબેન અને તેના પતિ વિનુભાઇ દોશી બે જ રહેતા હતા, આ દંપતીને સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું, પતિ વિનુભાઇ દોશીને સ્વાદુપિંડની દસેક વર્ષથી બીમારી હતી અને લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા, ગત તા.12 જુલાઇના હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ વિનુભાઇ દોશીની ઘરે જ સારવાર ચાલતી હતી, શુક્રવારે સવારે 11 વાગ્યાના અરસામાં વિનુભાઇનું મૃત્યુ થયું હતું. નજર સામે જ પતિના મૃત્યુથી પારૂલબેન ભાંગી પડ્યા હતા, તેમને કોઇ સંતાન ન હોય હવે પોતાનું શું થશે?, તેમની સંભાળ કોણ લેશે? અને પતિ વગર હવે જીવીને શું કરવું તેવા વિચારોથી તે ભાંગી પડ્યા હતા.

પારૂલબેને પતિના મૃતદેહ પર વસિયતનામું રાખી પોતે પણ એસિડ પી લીધું હતું, એસિડ પીધા બાદ પારૂલબેને તેમના પરિચિત જયેશભાઇ નામના વ્યક્તિને પોતે એસિડ પીધાની જાણ કરતો ફોન કરતા જયેશભાઇ તેમના ઘરે દોડી ગયા હતા અને 108ને બોલાવી પારૂલબેનને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જીવનનો અંત આણવાના નિશ્ચય સાથે એસિડ ગટગટાવતા પહેલાં પારૂલબેને પતિના મૃતદેહ પર જે વસિયતનામું મુક્યું હતું તે વસિયતનામામાં તેમની કુલ સંપત્તિના 50 ટકા આર્મીને અને બાકીના 50 ટકા સંપત્તિ અનાથાશ્રમને આપવાનું લખ્યું હતું. કોઈ સંતાન ન હોવાથી દંપતીએ અગાઉથી જ આર્મી અને અનાથાશ્રમના નામે લખી તે અંગેનું વસિયતનામું તૈયાર કરી રાખ્યું હશે. પારૂલબેનની તબિયત સુધર્યા બાદ પોલીસ વિશેષ તપાસ કરશે.