જૂનાગઢમાં 100થી વધુ સનાતન સાધુ-સંતોનું સંમેલન: કહ્યું, તમામ સંપ્રદાય એક જ છે, દેવી-દેવતાઓનું અપમાન સાંખી નહીં લેવાય

Contact News Publisher

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલા મુદ્દા પર મોટો નિર્ણય લઈને સાળંગપુર મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા હતા, પરંતુ સાધુ-સતો હજુ પણ નમતુ ન મૂકીને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ધર્મ સંમેલન યોજાયા બાદ આજે જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે સાધુ-સંતોનું સંત સંમેલન યોજાયું છે. આ સંત સંમેલનમાં ગુજરાતભરના અનેક નામી-અનામી સાધુ-સંતો હાજર છે. સનાતન સાધુ-સંતોની હાજરીમાં આજે સનાતન ધર્મ માટે સંરક્ષણ સમિતિ સહિત વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. સંત સંમેલનમાં ગુજરાતના 100થી વધારે સાધુ-સંતોએ એક સ્વરમાં કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી લેવામાં આવશે નહીં.

જૂનાગઢમાં સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે, જેના અધ્યક્ષ ચાપરડા બ્રહ્માનંદ ધામના મહંત મુક્તાનંદ બાપુને બનાવવામાં આવ્યા છે. જ્યારે દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બન્યા છે. જગતગુરુ શંકરાચાર્ય તમામ સમિતિના અધ્યક્ષ રહેશે.

સંત સંમેલનમાં ચૈતન્યશંભુ મહારાજે કહ્યું કે, ભારતમાં સનાતન ધર્મને ગાળો દેવાની ફેશન ચાલે છે. ગઈ 5મી તારીખે લીંબડી ખાતે બેઠક મળી હતી. જેમાં વિવિધ સિમિતિઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે સાધુ-સંતોના સૂચનો બાદ સમિતિ બનાવાવાનો નિર્ણય લેવાયો છે. દ્વારકા પીઠના અધ્યક્ષ શંકરાચાર્યજી સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બન્યા છે. ચૈતન્યશંભુ મહારાજે કહ્યું કે, સનાતન એટલે હિન્દુ બીજી કોઈ વ્યાખ્યા નથી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા નિર્ણયો ગૌરક્ષનાથ આશ્રમમાં પણ લેવામાં આવશે.

સંત સંમેલનમાં નિજાનંદ સ્વામી મહારાજે કહ્યું કે, જ્યારે હિન્દુ સમાજ જોકું ખાઈ જાય છે ત્યારે આપણે જાગીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયે જગાડ્યા છે. એટલે હું આ મંચ પરથી તેમનો આભાર માનીશ કે તમે અમને જગાડવાનું કામ કર્યું છે. પરંતુ હવે જગાડ્યા છે તો હવે તમે દાઝી ન જાવ એનું પણ ધ્યાન રાખજો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કહે છે કે 400-500 સાધુ સંતો લઈને ગેબીનાથ મહારાજ આવ્યા હતા, આ મંચ પરથી કહું છું કે જો કોઈ બીજા ગેબીનાથ મહારાજ જાગ્યાને તો વિદેશની ભૂમિ તમને નહીં સંઘરે.

Exclusive News