ISISના નિશાને ગુજરાત: અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગરમાં IED બ્લાસ્ટ કરવા માંગતા હતા
સોમવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISISના 3 આતંકીઓની ધરપકડ કરી હતી. ત્રણેય આતંકીઓએ પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા કર્યા છે. કડક પૂછપરછ દરમિયાન આતંકીઓએ જણાવ્યું કે તેમના નિશાના પર કેટલાક મંદિરો સાથે દેશના ઘણા મોટા નેતાઓ હતા. આ દરમિયાન અયોધ્યામાં રામ મંદિરની સાથે મુંબઈમાં છાબરા હાઉસ પણ આતંકવાદીઓના નિશાના પર હતું.
પૂછપરછ દરમિયાન ત્રણેય આતંકી શાહનવાઝ, રિઝવાન અને અરશદે ઘણા મોટા ખુલાસા કર્યા છે. ISISના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્લીમાં ધરપકડ બાદ ખબર પડી કે ગુજરાતના વિવિધ શહેરો પણ આતંકીના નિશાના પર હતા. આ ત્રણમાંથી એક આતંકી શાહનવાઝનો પ્લાન ગુજરાતમાં બ્લાસ્ટ કરવાનો પણ હતો. તેને અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં હુમલા માટે રેકી પણ કરી હતી. આ ખુલાસા બાદ દિલ્લી પોલીસની તપાસમાં હવે ગુજરાત પોલીસ પણ જોડાશે.
અંહિયા નોંધ લેવા જએવી બાત એ છે કે આતંકી શાહનવાઝની પત્ની ગુજરાતી હોવાનો ખુલાસો થયો છે. આતંકીની પત્નીનું નામ બસંતી પટેલ જાણવા મળ્યું છે, જે બાદથી તપાસ વધુ તેજ કરવામાં આવી છે. સાથે જ એમ પણ માહિતી મળી છે કે પત્ની બસંતી પટેલને ઇસ્લામ ધર્મમાં પરિવર્તિત કરવામાં આવી હતી જે બાદ તેનું નામ મરિયમ રાખવામાં આવ્યું છે. હાલ શાહનવાઝની પત્ની સ્પેશિયલ સેલના રડાર પર છે એટલે હવે દિલ્લી પોલીસ સાથે ગુજરાત પોલીસ પણ તપાસમાં ઝંપલાવશે.
શાહનવાઝે મુંબઈ, સુરત, વડોદરા અને ગાંધી નગરમાં મંદિરો અને દરગાહ, વીઆઈપી રાજકીય અને મોટા નેતાઓના રૂટ સહિત ઘણા ભીડભાડવાળા વિસ્તારોની રેકી કરી હતી અને અમદાવાદમાં IED પ્લાન્ટ કરીને ટાર્ગેટ કિલિંગ કરવાનું વિચારી રહ્યો હતો. તેણે પશ્ચિમ રાજસ્થાનના નકશાની પણ તપાસ કરી જેથી ત્યાંના સ્થાન પર IED ટેસ્ટિંગ પોઈન્ટ બનાવી શકાય.