અમદાવાદમાં આજથી 3 દિવસ રિક્ષાચાલકો ઉતરશે હડતાળ પર, જાણો કઇ માંગને લઇ ઉચ્ચારી ચીમકી

Contact News Publisher

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં આજથી ત્રણ દિવસ સુધી રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે. રિક્ષાચાલકોના હડતાળ પર ઉતરવા પાછળનું કારણ છે શહેરમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે ટુ-વ્હીલર સવારીનું વધતું ચલણ. ઓનલાઈન એપથી ટુ-વ્હીલરની મુસાફરી સામે રિક્ષા ચાલકો વિરોધ કરી રહ્યા છે.

એપ્લિકેશન મારફતે ટુ-વ્હીલર પર થતી મુસાફરીને બંધ કરાવવાની માંગણી સાથે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયને આજથી ત્રણ દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર સુધી રિક્ષા સ્વયંભૂ બંધનું એલાન કર્યું છે. સાથે જ યુનિયન દ્વારા ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ મામલે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છલ્લા ઘણા સમયથી ઓનલાઈન એપ્લિકેશન મારફતે ટુ વ્હીલર પર મુસાફરી ધમધમી રહી છે. જે ગેરકાયદેસર હોવાથી અમે ઘણીવાર સરકારને આને બંધ કરાવવા રજૂઆત કરી છે, છતાં સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

શહેરના રસ્તાઓ પર આ પ્રકારના વાહનો દોડી રહ્યા છે, આ સ્થિતિમાં રિક્ષા ચાલકોની રોજીરોટી ઉપર માઠી અસર થઈ રહી છે. ઓનલાઈન એપથી ટુ વ્હિલરની મુસાફરી બંધ કરાવવાની માંગ સાથે રિક્ષા ચાલકો 3થી 5 ઓક્ટોબર સુધી હડતાળ પર ઉતરશે તેવું યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે.