ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત, 2 મિત્રો ઈજાગ્રસ્ત થયા

Contact News Publisher
નડિયાદ : મહુધા કઠલાલ રોડ પર વડથલ ફાટક નજીક ફોરવીલ ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા પામેલા ત્રણ યુવકો પૈકી એકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહુધા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

લુણાવાડા તાલુકાના ચારણ ગામ રાયણના મુવાડામાં રહેતા દિલીપભાઈ સ્વરૂપસિંહ પરમાર તેના મિત્રો સુરપાલસિંહ ઠાકોર અને અરુણસિંહ ઉર્ફે દેવો સોલંકી સાથે તા.૧૧ મીની રાત્રે દસેક વાગ્યે સુરપાલસિંહની ગાડી લઈને નડિયાદ તરફ જતા હતા. આ દરમ્યાન રાત્રીના બારેક વાગ્યાની આસપાસ કઠલાલ મહુધા રોડ પર વડથલ સીમમાં રેલ્વે ફાટક નજીક પૂરઝડપે આવેલી ટ્રક ધડાકાભેર ગાડી સાથે અથડાઈ હતી. જેથી ગાડીમાં બેઠેલા ત્રણેયને ઈજા થતા તાત્કાલિક સારવાર માટે મહુધા સરકારી દવાખાનામાં લઈ ગયા હતા. જેમાં દિલીપભાઈની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા હતા. ત્યારે દિલીપભાઈનું રસ્તામાં મોત નિપજ્યું હતુ. જ્યારે અરૂણસિંહ ઉર્ફે દેવો જયેન્દ્રસિંહ સોલંકીને વધુ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ આણંદ તેમજ સુરપાલસિંહ સોમાભાઈ ઠાકોરને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા.