ગુજરાતમાં હાર્ટ એટેકથી આજે વધુ એકનું મોત, નવરાત્રીમાં હ્રદયરોગ સંબંધી 766 કેસો નોંધાયા, યુવાનોમાં સૌથી વધુ જોખમ
ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોમાં હ્રદયરોગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. નવરાત્રીમાં હ્રદયરોગ સંબંધિત 766 કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા નોરતે મહાનવમીના દિવસે 32 કાર્ડિયાક ઈમરજન્સી નોંધાઈ છે. ગઈકાલે મંગળવારે પણ હાર્ટ એટેક આવવાને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો, તો આજે પણ એક યુવતીનું હ્રદયરોગના કારણે મૃત્યુ થયું છે.
યુવાનો પર હ્રદયરોગ હુમલાનું સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે. હાર્ટ એટેકના કારણે આજે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તળાજાના દેવલી ગામે 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ છે. દેવલી ગામની જીજ્ઞા બારૈયા નામની યુવતીને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે. રાત્રે સુઈ ગયા પછી યુવતી સવારે ઉઠી જ નહોતી.
ગઈકાલે અમદાવાદમાં પણ હાર્ટ એટેકને કારણે 36 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે ચાંદખેડામાં રહેતા શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગના મંત્રી વિશાલ સોલંકીને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.