એ.એમ.ટી.એસ.નો વિવાદાસ્પદ નિર્ણય, નડતરરુપ બસસ્ટેન્ડ ખસેડવા માંગનારે એકલાખ ચુકવવા પડશે
સ્થાપનાના ૭૬મા વર્ષમાં પ્રવેશલ એ.એમ.ટી.એસ.ના શાસકોએ અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં નડતરરુપ એ.એમ.ટી.એસ.નું બસસ્ટેન્ડ ખસેડવા માંગનારે સંસ્થાને એક લાખ રુપિયા ચુકવવા પડશે એવો વિવાદાસ્પદ નિતી વિષયક નિર્ણય લીધો છે.એ.એમ.ટી.એસ.ની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ શાસકોએ મૌન સેવી લીધુ હતુ.લોકોમાં આ પ્રકારે લેવાયેલ નિર્ણય ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે.
સોમવારે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બેઠકમાં શહેરના કોઈપણ વિસ્તારમાં આવેલા એ.એમ.ટી.એસ.બસસ્ટેન્ડને ખસેડવા માટે કોઈ પણ અરજદાર માંગતો હોય તો બસ સ્ટેન્ડ ખસેડતા પહેલા અરજદાર પાસેથી એકલાખ રુપિયા વસુલ કરવા એવી પોલીસીને કમિટિ દ્વારા મંજુરી આપવામા આવી છે.શહેરમાં નવા બનતા બિલ્ડિંગ કે અમુક કિસ્સાઓમાં વ્યવસાયીઓ પોતાના ધંધાના સ્થળ પાસે જ મુકવામા આવેલા એ.એમ.ટી.એસ.ના બસસ્ટેન્ડને ખસેડવા માટે અગાઉના વર્ષોમાં રાજકીય ભલામણ દ્વારા નડતરરુપ બસસ્ટેન્ડ દુર કરાવતા હોવાના મોટી સંખ્યામા દાખલા બહાર આવેલા હતા.પરંતુ એ.એમ.ટી.એસ.ની સ્થાપનાના ૭૬ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત બસસ્ટેન્ડ ખસેડવા માંગનાર પાસેથી એક લાખ રુપિયા વસુલવા જેવી પોલીસીને મંજુરી આપવામા આવી છે.