સિગારેટ અને પડીકી નહીં આપનાર યુવક પર ત્રિપુટીનો હુમલો, ટોળાએ દરમિયાનગીરી યુવકને બચાવ્યો
માંજલપુરમાં સૂર્યદર્શન ફાટક નજીક શિવમ ફ્લેટમાં રહેતો નૈતિક મહેન્દ્રભાઇ પટેલ ડ્રાઇવિંગ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.25મી એ રાતે સાડા નવ વાગ્યે માંજલપુર સરસ્વતી ચોકડી પાસે આવેલ દુકાને હું પાન ખાવા માટે ગયો હતો. ત્યારે દુકાનની આગળ ઓમ સિંધે, કિરણ મારવાડી ( બંને રહે. સ્વામી સૂર્યનારાયણ નગર, માંજલપુર) તથા વ્રજ ગાંધી (રહે. શંકર વસાહત,માંજલપુર) ત્યાં બેઠા હતા. વ્રજ અને કિરણે મને કહ્યું હતું કે, મારી માટે પણ પડીકી અને સિગારેટ લાવ. મેં તેઓને કહ્યું કે, મારી પાસે પૈસા નથી. મારી વાત સાંભળીને તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. કિરણ તથા વ્રજ ગાંધીએ મારી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તેઓ મને ગાળો બોલતા હતા. તેઓનું ઉપરાણું લઇને ઓમ સિંધેએ પણ મને માર માર્યો હતો. મેં પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. દરમિયાન ટોળું ભેગું થઇ જતા મને વધુ મારમાંથી બચાવ્યો હતો.