પાટણ: વરાણા ખોડિયાર મંદિરે જઇ રહેલા પગપાળા સંઘને ટ્રક ચાલકે મારી ટક્કર, 3ના મોત, 5 ઘાયલ
હારીજ ચાણસ્મા રોડ ઉપર આવેલ દાંતરવાડા ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, હાલ વરાણા ખોડિયાર માતાજી મંદિરે મેળાના માહોલ વચ્ચે દર્શનાર્થીઓ પગપાળા વરાણા જઈ રહ્યા છે. આ દરમિયાન બેચરાજી પંથકનો એક સંઘ પણ વરાણા જવા નીકળ્યો હતો. જોકે આપણી ગુજરાતી પંક્તિ મુજબ “ન જાણ્યું જાનકીનાથે કાલ શું થવાનું… “ની જેમ આ પગપાળા સંઘને દાંતરવાડા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધો હતો. આ ઘટનામાં 3 લોકોના મોત થયા તો અન્ય 5 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. આ તરફ ઘટનાને લઈ હારીજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના સમી પંથકમાં આવેલ વરાણા ખોડિયારધામમાં હાલ મેળાનો માહોલ છે. જેમાં દૂર દૂરથી લોકો ખોડિયાર માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. આવો જ એક પગપાળા સંઘ બેચરાજીના અંબાલા ગામનો પગપાળા સંઘ વરાણા જવા નીકળ્યો હતો. આ દરમિયાન હારીજ ચાણસ્મા રોડ ઉપર આવેલ દાંતરવાડા ગામના પાટીયા પાસે એક અજાણ્યા ટ્રક ચાલક સંઘને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. જોકે આ દુખદ ઘટનામાં 3 મહિલાઓના ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ તરફ અન્ય 5 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડાયા છે.