‘આ કાયદો ધર્મના આધારે…’, CAA પર પાકિસ્તાને ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, જુઓ અમેરિકાએ શું કહ્યું
નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAAના અમલીકરણની સૂચના જાહેર થયા બાદ હવે તેને દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. વિપક્ષ CAAના વિરોધનું રણશિંગુ વગાડી રહ્યું છે. પરંતુ આ દરમિયાન પાકિસ્તાને પણ CAAને લઈને નિવેદન આપ્યું છે. પાકિસ્તાને CAAને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને કહ્યું છે કે, આ કાયદો લોકોને ધર્મના આધારે વહેંચવા જઈ રહ્યો છે. પાકિસ્તાને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય મુસ્લિમોએ આ કાયદાથી ડરવાની જરૂર નથી કારણ કે CAA તેમની નાગરિકતા પર અસર કરશે નહીં.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે તે સ્પષ્ટ છે કે, CAA અને તેના નિયમો ભેદભાવપૂર્ણ છે કારણ કે તેઓ ધર્મના નામે લોકોને વહેંચે છે. તેમણે કહ્યું કે, આ નિયમો એ ખોટી માન્યતા પર આધારિત છે કે, મુસ્લિમ દેશોમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને ભારત લઘુમતીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. મુમતાઝે કહ્યું કે, 16 ડિસેમ્બર 2019 ના રોજ પાકિસ્તાનની સંસદમાં CAAની ટીકા કરતો એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો જેમાં CAAને સમાનતાના આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ હોવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, અમે માનીએ છીએ કે ભારતની અંદર લઘુમતીઓને નિશાન બનાવવામાં આવશે નહીં અને સરકાર આ દિશામાં પગલાં લેશે.
જાણો CAA પર અમેરિકાએ શું કહ્યું?
ભારતમાં CAA નોટિફિકેશન જાહેર થયા બાદ અમેરિકાએ પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું છે કે, તે CAA નોટિફિકેશનથી ચિંતિત છે અને તેના પર નજર રાખી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, ભારતે 11 માર્ચે નાગરિકતા સંશોધન બિલનું નોટિફિકેશન બહાર પાડ્યું, જેનાથી અમે ચિંતિત છીએ. આ કાયદાનો અમલ કેવી રીતે થશે તેના પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. ધાર્મિક સ્વતંત્રતા માટે આદર અને કાયદા હેઠળ તમામ સમુદાયો સાથે સમાન વ્યવહાર એ મૂળભૂત લોકશાહી સિદ્ધાંતો છે.