“મારા પોસ્ટરો ફાડવાવાળાના કપડા ફાટી જવાના છે”, મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી આપી ચીમકી
ભરૂચ લોકસભાના વર્તમાન સાંસદ તેમજ આગામી લોકસભા ચૂંટણી-2024ના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાના વિધાનસભા વિસ્તાર ડેડીયાપાડા વિસ્તારમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ડેડીયાપાડાના ઉમરાણમાં મનસુખ વસાવાએ જાહેરસભા ગજવી હતી અને AAP સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપવાળા મારા પોસ્ટરો લગાડે છે અને AAP વાળા મારા પોસ્ટરો ફાડે છે. આ પોસ્ટરો ફાડવાવાળાના કપડાં ફાટી જવાના છે.
AAP દ્વારા મનસુખ વસાવાનો અધિકારીને ગાળો આપતો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં મુકીને સાંસદને બદનામ કરવા સામે મનસુખ વસાવાએ જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું હતું, “આવા પ્રજાના કામો ન કરે એની શું આરતી ઉતારું? સીધી રીતે કામ ન કર્યું હોય તો કોઈ અધિકારીઓને ગાળો દીધી હશે. બાકી હું સીધો સાદો માણસ છું. પણ કામ ન કરે તો બોલવું પડે. અધિકારીઓને એવી ભાષામાં અમારે સમજાવવું પડે છે.”
ભાજપવાળા પૈસા વહેંચે એવા AAPના આક્ષેપોનું ખંડન કરતા જાહેરમંચ પરથી મનસુખ વસાવાએ કહ્યું હતું કે ભાજપવાળા પૈસા ન વહેંચે. અમે તો સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડીએ છે. પૈસાવાળા તો પંજાબથી આવે છે, હરિયાણાથી આવે છે.