મોરબીના સોની વેપારીએ બીમારીથી કંટાળીને ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો

Contact News Publisher

મોરબીના મચ્છુ ૨ ડેમમાં ઝંપલાવી ૪૪ વર્ષીય સોની વેપારીએ આપઘાત કરી લીધો હતો. બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી શહેરના સામાકાંઠે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય પૌઢ પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામમાં રહેતા એક બુઝુર્ગ કે જેઓએપોતાની બીમારીથી કંટાળી જઈ ઝેરી દવાના ટીકડા ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી છે.

મોરબીના શનાળા રોડ પર પુનીતનગરમાં રહેતા મનોજભાઈ ઉર્ફે લાલો જયંતીભાઈ રાણપરા (ઉ.વ.૪૪) નામના સોની વેપારીએ જોધપર નજીક આવેલ મચ્છુ ૨ ડેમના સ્લીપ-વે બ્રીજ પર પોતાના ચપ્પલ-મોબાઈલ અને પાકીટમાં સુસાઈડ નોટ મૂકી મચ્છુ ૨ ડેમના પાણીમાં જાતે કુદી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મનોજભાઈ રાણપરા નામના વેપારી અઢારેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય જેની દવા ચાલુ હોય અને આઠેક વર્ષ પહેલા સોની કામ કરતી વખતે સોનું ગાળવાની ગેસ ગનમાં ગેસ ચાલુ રહી જતા ગેસ ગન સળગાવતા ભડકો થતા ગળામાં આગની વરાળ જતા ગળાના ભાગે તકલીફ થઇ ગઈ હતી. જેથી વ્યવસ્થિત સમજી સકાય તેમ બોલી નહિં શકવાની તકલીફથી પીડાતા હતા. જેથી બીમારીથી કંટાળી જઈને મચ્છુ-૨ ડેમમાં ઝંપલાવી પાણીમાં ડૂબી જતા મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી-૨ વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નથુભાઈ રાજાભાઈ મુછ્ડીયા (ઉ.વ.૫૫) પોતાના ઘરે બીમારી સબબ એસીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

કાલાવડ ના ભગખીજડિયા ગામમાં રહેતા અલીભાઈ ઇસ્માઈલભાઈ નામના ૬૮ વર્ષના બુઝુર્ગ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી કમર અને મણકા તેમજ ગોઠણ ના દુઃખાવાની બીમારીથી પીડાતા હતા. જે બીમારી સહન થઈ શકતી ન હોવાથી તેઓએ ઝેરી દવા ના ટીકડા ખાઈ લઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર અમિનભાઈ અલીભાઇએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.