અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, ચૂંટણી પ્રચાર માટે આવશે બહાર
સુપ્રીમ કોર્ટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. માત્ર 5 મિનિટથી પણ ઓછા સમયમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.
હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને કાયદેસર ગણાવી
9 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે પણ કેજરીવાલની ધરપકડને કાયદેસર ઠેરવી હતી અને કહ્યું હતું કે વારંવાર સમન્સ જારી કર્યા પછી અને તપાસમાં જોડાવાનો ઈન્કાર કર્યા પછી, ED પાસે ‘ખૂબ જ ઓછો વિકલ્પ’ બચ્યો હતો.
21 માર્ચે કેજરીવાલની ધરપકડ
આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં બંધ છે. બેન્ચે 7 મેના રોજ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
કેજરીવાલ મુખ્ય આરોપી
ઈડી ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા જઇ રહી છે. સૂત્રોનું કહેવું છે કે, ઈડી કેજરીવાલને મુખ્ય કાવતરાખોર અને કિંગપિન ગણાવતા ચાર્જશીટ દાખલ કરશે. તેમાં બીઆરએસ નેતાની કવિતાનું નામ પણ શામેલ હોઈ શકે છે.