કંડલામાં અંડર વોટર એટેકના ઈનપુટના આધારે ઍલર્ટ જાહેર
કચ્છમાં નાપાક હરકતને અંજામ આપવા માટૅ ટ્રેનિંગ લીધેલાં કમાન્ડો ઘૂસ્યા હોવાના ઈનપુટ બહાર આવતા સુરક્ષા તંત્રે ઍલર્ટ જાહેર કર્યુ છે. ટ્વીટર પર પાકિસ્તાનના વ્યક્તિ દ્વારા ‘પાકિસ્તાની નેવીએ ભારતનું 35% કાર્ગો વહન કરતા કંડલાને ટાર્ગેટ કરવું જોઇએ’ ની ટીપ્પણી કરી હતી. સરહદી જિલ્લા કચ્છમાં ગત કેટલાક દિવસોના ઘટનાક્રમ અને ઈનપુટના આધારે ઍલર્ટ જાહેર કરાયુ છે. તેમાંય દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલામાં અંડર વોટર એટૅક થવાના ઈનપુટના આધારે હાઈ સિક્યોરીટી ઍલર્ટ જાહેર કરાયો છે.
પોર્ટ દ્વારા આ અંગે તમામ શીપ એજન્ટ, સંગઠનો અને સંલગ્ન વ્યવસ્થાઓ ને સુચીત કરીને દરીયામાં કોઇ પણ અયોગ્ય હલન ચલન કે સંદિગ્ધ ગતિવિધી દેખાય તો તુરંત સુરક્ષા તંત્રને જાણ કરવા અને સતર્ક રહેવા તેમજ દરેક સ્થિતિ માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. આ અંગે પૂર્વ કચ્છમાં એસપીનો ચાર્જ સંભાળી રહેલા ડી.એસ. વાઘેલાએ જણાવ્યુ હતુ કે પોલીસ દ્વારા પોર્ટ આસપાસના તમામ સ્થળોની ચેકિંગ કરવામાં આવી રહિ છે. મરીન કમાન્ડોની એક ટુકડીને પણ તૈનાત કરી લેન્ડિંગ પોઈન્ટ્સ, અગત્યના સ્થળોએ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.