ભારતમાં મોટા હુમલાની તૈયારી! પાકિસ્તાને મસૂદ અઝહરને મુક્ત કર્યો
ઇન્ટેલિજન્સ એજન્સી સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું છે કે, પાકિસ્તાન ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. આતંકી હુમલાને અંજામ આપવા માટે જ મસૂદ અઝહરને મુક્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, યૂનાઇટેડ નેશન્સે મસૂદ અઝહરને આ વર્ષે મે મહિનામાં ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો છે.
જમ્મુ-કાશ્મીર ને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા બંધારણના આર્ટિકલ 370ને હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનને દુનિયાના કોઈ પણ દેશથી મદદ નથી મળી રહી. આ ઉચાટમાં પાકિસ્તાને વધુ એક પગલું ઉઠાવ્યું છે. એક રિપોર્ટ મુજબ, ઈમરાન સરકારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને જેલથી મુક્ત કરી દીધો છે. મસૂદ અઝહર ભારતમાં સંસદ, મુંબઈ, પુલવામા, ઉરી સહિત અનેક હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. મસૂદ અઝહરની મુક્તિ બાદ ભારતીય સેના અને સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
આ વર્ષે 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાને મસૂદ અઝહરની ધરપકડ કરી લીધી હતી. જોકે, ત્યારે પણ ભારતે કહ્યું હતું કે મસૂદ અઝહરની ધરપકડ માત્ર દેખાડો છે. હવે તેની ગુપચુપ મુક્તિથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને મસૂદ અઝહરની ધરપકડનું નાટક કર્યુ હતું.