ગાંધીધામ પાલિકાની અણધડનીતિ, ભ્રષ્ટાચારના કારણે સમસ્યાગ્રસ્ત ગાંધીધામને સમસ્યામુક્ત કરવા ગાંધીધામ શહેર કોંગ્રેસ દ્વારા લેખિતમાં રજૂઆત
ગાંધીધામ શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીધામ શહેરને પ્રાથમિક અને માળખાકીય સુવિધા પ્રજાને લાંબા સમયથી કનડતા પ્રશ્નોનું સત્વરે ઉકેલ લાવવા માટે ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજય ગાંધીની આગેવાનીમાં ગાંધીધામ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરાઇ હતી.
ગાંધીધામ નગરપાલિકામાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપની સત્તા હોવા છ્તા ગાંધીધામ સંકુલની અને જનતાની સુખાકારીની સુવિધાથી જનતા વંચિત રહેવા પામી છે અને સાથે સાથે અનેકવિધ સમસ્યાઓથી જનતા પાયમાલ થયી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. સાલ ૨૦૨૦માં નગર પાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે હાલના સમયમાં જે હાલાકી ગાંધીધામ વાસીઓ ભોગવી રહ્યા છે તેને દૂર કરવા માટે ત્યારે અમે એક જાગૃત વિપક્ષ તરીકે ગાંધીધામ શહેરની તમામ સમસ્યાનો ચિતાર આ લેખિત રજૂઆત દ્વારા રજૂ કરી રહ્યા છીએ તેવું ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજય ગાંધી દ્વારા જણાવવામાં આવ્યું છે.
તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ જેના માટે તેઓ પાસેથી વેરો ઉઘરાવવામાં આવે છે તે તમામ સુવિધા પૂરી પાડવામાં ગાંધીધામ નગર પાલિકા સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. હાલમાં થયેલા સારા વરસાદના પગલે ગાંધીધામ શહેરને બે વર્ષ સુધી ચાલે તેટલું પાણીની આવક થયી હોવા છતાં ગાંધીધામ સંકુલમાં પાણીનું વિતરણ છ દિવસે કરાય છે તે પ્રકારની નીતિ ક્યારે પણ ચલાવી નહીં લેવાય તેવું તેમણે ઉમેર્યું હતું.