‘દિવાલી કે પટાખે’ અને ‘કાશ્મીરી સેબ’ કોડવર્ડ સાથે દિલ્હીને ધ્રૂજાવવાનો જૈશનો મનસૂબો
જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન ભારતમાં હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. પોતાના ઉદ્દેશ્યને અંજામ આપવા માટે એક ડઝનથી વધુ સંદિગ્ધ આતંકવાદી દેશની રાજધાનીમાં ઘૂસી ચૂક્યા છે. ઇન્ટેલિજન્સ એજન્સી મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં બેઠેલા આતંવાદીઓએ આ આતંકવાદીઓની પૂરી તૈયારી સાથે ભારતમાં ઘૂસણખોરી કરાવી છે. આ આતંકવાદીઓને કરો યા મરોનો ટાસ્ક આપીને દિલ્હી, કાશ્મીર અને પંજાબ મોકલવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, આતંકવાદીઓના જે કોડ ટ્રેસ કરવામાં આવ્યા છે, તેમાં ‘દિવાલી કે પટાખે’, ‘કાશ્મીર સેબો કી દિલ્હીમાં સપ્લાઇ’ જેવી વાતો કહેવામાં આવી છે.
ઇન્ટેલિજન્સ એજન્સી મુજબ, આતંકવાદીઓએ પોતાનો પ્લાન પાંચ દિવસ પહેલા જ કાશ્મીરમાં એક સફરજનના બગીચામાં તૈયાર કર્યો છે. આતંકવાદીઓના આ ગ્રુપને જમ્મુ-કાશ્મીરમાં બેઠેલા જૈશના કમાન્ડર અબુ ઉસ્માને તૈયાર કર્યા છે. આ વિનાશના પ્લાનને ડી નામ આપવામાં આવ્યું છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ મુજબ, બાંદીપુરા સેક્ટરમાં સફરજનના બગીચામાં પહેલા પણ આ તમામ જૈશના આતંકવાદી એકત્ર થયા હતા. આ મીટિંગમાં જણાવવામાં આવ્યું છે કે તેના માણસો ભારતમાં અલગ-અલગ શહેરમાં હાજર છે. કહેવાય છે કે અબુ ઉસ્માનની પાસે એક સ્નાઇપર રાઇફલ હતી, જ્યારે બાકી ત્રણ આતંકવાદીઓ પાસે AK47, પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ હતા
ઇન્ટેલિજન્સ એજન્સીઓને આ મીટિંગની જાણ પાંચ દિવસ પહેલા જ થઈ ગઈ હતી. તે સમયે જણાવવામાં આવ્યું હતું કે, જૈશ કમાનડર અબુ ઉસ્માને જમ્મુના આતંકવાદીઓ સાથે બાંદીપુરા વિસ્તારમાં મીર મોહલ્લામાં એક સફરજનના બગીચામાં મીટિંગ કરી હતી. મીટિંગમાં કહેવામાં આવ્યું હતું કે લોકો ટૂંક સમયમાં સારા સમાચાર સાંભળશે અને આ ખુશીના સમાચાર જમ્મુ અને દિલ્હીમાં મોટા બ્લાસ્ટની સાથે આવશે. મીટિંગમાં ઉસ્માને કહ્યુ કે, આપણા ભાઈ પહેલાથી જ ભારતના શહેરોમાં પહોંચી ગયા છે.