કચ્છના મુખ્ય આસ્થા ધામ માતાના મઢનું ૨.૩૫ કરોડના ખર્ચે થશે રિનોવેશન
દેશ દુનિયામાં વસતા કરોડો ભક્તો મા આશાપુરામાં અપાર શ્રદ્ધા ધરાવે છે. આગામી દીપોત્સવી પર્વ દરમિયાન કચ્છ અને તેની બહાર વસતાં ભાવિક ભક્તો માતાના ચરણોમાં શીશ ઝુકાવશે. આ સપરમાં દિવસો દરમિયાન માતાજીની પૂજા અર્ચના અને દર્શન માટે માટે વિશેષ પ્રબંધ કરવામાં આવશે. દરમિયાન અહીં દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોની સુખસુવિધા માટે યાત્રાધામના વિકાસનું બીડું ઉપાડવામાં આવ્યું છે.
મંદિર સંકુલમાં સુવિધાના વિવિધ કામો ઉપરાંત માતાજીના મંદિરની સાથે સંકળાયેલા પ્રાચિન ચાંચરાકુંડના રિનોવેશનની કામગીરી 2.35 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે શૌચાલયથી લઇને શેડ સુધીના કામોને આવરી લેવાયા છે.યાત્રા વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે, પ્રસિદ્ધ માતાના મઢ આશાપુરા માતાના મંદિર સંકુલ અને ચાચરકુંડ ખાતે અંદાજે 2.35 કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન કરાઇ રહ્યું છે. ટૂંક સમયમાં સરકારની મંજૂરી બાદ કામો હાથ ધરાશે. બોર્ડ દ્વારા નારાયણ સરોવર પાસે આવેલા પ્રાચિન સ્થાનક મહાપ્રભુજીના બેઠકની રિ-ડેવલપમેન્ટની કામગીરી પણ હાથ ધરાઇ છે. સોમનાથ, દ્વારકા અને અંબાજીની જેમ માતાના મઢ ખાતે પણ વિકાસ કરવા સરકાર કટિબદ્ધ છે.