ખાવડામાં પીએસઆઈના અક્કડ વલણે જનાજા દરમ્યાન મુશ્કેલી સર્જી
ખાવડાના ધોરાવર ગામે મૃતક વ્યકિતના જનાજા દરમ્યાન સ્થાનિક પીએસઆઇ દ્વારા કરાયેલ વર્તણુંક અંગે કચ્છના કોંગ્રેસી અગ્રણી આદમ ચાકી અને પ્રવકતા દિપક ડાંગરે ભારે નારાજગી વ્યકત કરી છે.
લોકડાઉન દરમ્યાન કચ્છમાં પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ રહી છે ત્યારે એકાદ પોલીસ અધિકારીના તુમાખી અને માનવતા વિહોણા વર્તનથી પોલીસની છબીને નુકસાન થશે એવી ભીતિ કોંગ્રેસના આગેવાનોએ વ્યકત કરી છે. ખાવડાના ધોરાવર ગામે જનાજા દરમ્યાન માત્ર ચાર જ જણાને જવા દેવાનું અક્કડ વલણ ખાવડા પીએસઆઇએ દર્શાવતા જનાજો કબ્રસ્તાન સુધી લઈ જવામાં ભારે મુશ્કેલી પડી હતી. આ બાબતે મળતી વિગતો મુજબ તંત્રની ગાઈડલાઇન મુજબ ૨૦ વ્યકિતઓ થોડું થોડું અંતર રાખીને જનાજા માં જઈ શકે છે. પણ, પીએસઆઇએ મનમાની કરી શર્મનાક વર્તન કર્યું હતું. સુરતથી બદલીને સરહદી કચ્છમાં છેવાડાના બોર્ડર વિસ્તારમાં મુકાયેલા આ પીએસઆઇ વિરુદ્ઘ અગાઉ પણ ફરિયાદો થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું હતું.