રાજકોટમાં ભાજપ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવીની બેઠક, વિરોધ થશે શાંત?

Contact News Publisher

રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની વિવાદિત ટીપ્પણીથી ક્ષત્રિય સમાજમાં પ્રસરેલો રોષ હજુ પણ કયાંક જોવા મળી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકરે ખાનગી હોટલમાં સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી વિવાદને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપ તરફી મતદાન કરવાનુ સૂચન કરવા અપીલ
રૂપાલા વિવાદને લઈ હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. જેઓ એક ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી. રૂપાલાના નિવેદન મુદ્દે થઈ રહેલા વિરોધને શાંત કરવાના પ્રયાસને લઈ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરી કેટલીક બાબતો જણાવી હતી. જેમાં તેઓએ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને સમાજ વચ્ચે જઇ લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનુ સૂચન કરવા અપીલ કરી હતી.

અગાઉ બેઠક નિષ્ફળ રહી હતી
રાજકોટમાં ભાજપનાં ઉમેદવારનો વિવાદ યથાવત છે. થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજનાં આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જે બેઠક નિષ્ફળ રહી હતી. બેઠકમાં સંકલન સમિતિએ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી. તેમજ ટિકિટ રદ્દ નહી થાય તો લડી લેવાની સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે મળી હતી. તેમજ માફી આપવા બાબતે બંને પક્ષે ચર્ચા થઈ હતી.