૨૭ પ્રવાસીઓ સાથે ભુજ આવેલા વિમાનમાં ત્રણ પોઝિટિવ
કચ્છમાં કોરોનાએ પાછલા ત્રણ દિવસથી માજા મૂક છે ત્યારે મુંબઇથી વાયા દીવ થઇને ભુજ આવતા એર ઇન્ડિયાના કચ્છી પ્રવાસીઓએઁ હવે કોરોના સંક્રમિત અન્ય સહ મુસાફરોની ખૂબ જ તકેદારી રાખવી પડશે કારણ કે ત્રણ દિવસ પહેલાં ભુજ આવેલા વિમાનના 27 પ્રવાસીઓ ખુદને એ ખબર નથી કે તેમની સાથે બેઠેલા અને દીવ ઊતરી ગયેલા ત્રણ પ્રવાસીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના મહામારીને લગતો અત્યંત ગંભીર કિસ્સો આજે બહાર આવતાં કચ્છના વહીવટી તંત્રની સાથે આરોગ્ય તંત્ર પણ ઊંધા માથે આવીને ચિંતિત બન્યું છે.
આ અંગેની વિગતો આવી છે કે ગત 10મી જૂને સવારે મુંબઇથી ઉપડેલા વિમાનમાં દીવના મુસાફરો પણ હવાઇ પ્રવાસ કરી રહ્યા હતા. ભુજનું એર ઇન્ડિયાનું આ વિમાન વાયા દીવથી આવતું હોવાથી દીવના પ્રવાસીઓ ઊતરી ગયા અને દીવથી મુંબઇ જવાવાળા તેમાં બેઠા, ભુજ આવીને એ વિમાન તો પરત મુંબઇ ગયું હતું. પરંતુ આજે ખબર પડી કે 10મીએ જે દીવના પ્રવાસીઓ મુંબઇથી આવ્યા હતા એ ત્રણેયને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ભુજમાં એ વિમાનમાં 27 પ્રવાસીઓ ઊતર્યા હતા અને કચ્છના જુદા-જુદા વિસ્તારમાં ચાલ્યા ગયા હતા. દીવના પ્રવાસીઓને કોરેના પોઝિટિવ આવ્યો હોવાની જાણ થતાં કચ્છમાં આ અંગેની જાણ કરવામાં આવી હતી. આ હકીકતને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ સમર્થન આપ્યું હતું. બનાવની જાણ કચ્છના કલેકટર પ્રવીણા ડી.કે.ને થતાં ગંભીરતા સમજી તુરંત તમામ 27 પ્રવાસીઓની શોધખોળ કરવાના આદેશ આપ્યા હતા.ડી.ડી.ઓ. શ્રી જોશીના જણાવ્યા પ્રમાણે વિમાન કંપની પાસેથી 10મી તારીખે કોણ આવ્યા છે તેની યાદી મંગાવવામાં આવી હતી. 27 જણમાંથી એ પ્રવાસીની નજીકની બેઠક ઉપર બેઠેલા અને સંપર્કમાં આવ્યા હોય તેવા પાંચ મુસાફરોને અલગ તારવવામાં આવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે, તમામ 27 મુસાફરોના નામ અને સરનામા મળી ગયા છે.
દરેકની શોધખોળ ચાલુ કરીને તેઓને સંપર્કથી દૂર રાખવાનું અને કવોરેન્ટાઇન કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.હવાઇ પ્રવાસીઓ મુંબઇથી આવે છે તેમાંથી પ્રોઝિટિવ કેસ નીકળે છે એ સાચી વાત છે. વિમાનમાં સામાજિક અંતર સાથે જ બોર્ડિંગ પાસ આપવામાં આવે છે, વળી દરેક એરપોર્ટ ઉપર ક્રીનિંગ પણ કરવામાં આવે છે. તેમ છતાં પણ વિમાનમાં પોઝિટિવ કેસ આવી જાય એ ગંભીર છે કારણ કે સાથી પ્રવાસીઓ આનાથી સંક્રમિત થઇ શકે છે.કચ્છમાં કયા વિસ્તારમાં પ્રવાસીઓ આવ્યા છે આ બાબતે ડી.ડી.ઓ.એ કહ્યું કે પોઝિટિવવાળાની નજીક આવ્યા હોય તેવા પાંચ છે જે મુંદરા, ગાંધીધામ અને અબડાસા વિસ્તારના છે. તે ઉપરાંત કુલ્લ મળીને જે 27 જણ છે તેઓની પણ તપાસ કરવામાં આવશે.હવે આ 27 પ્રવાસીઓ વિમાનમાંથી ઊતરીને જ્યાં પણ ગયા હશે ત્યાં કોઇકને મળ્યા પણ હશે કારણ કે કોઇને એ ખબર નથી એટલે આ બાબત વધુ જોખમી સાબિત થઇ શકે છે.’ જેના કારણ કચ્છનુ તંત્ર વધુ સતર્ક બન્યું છે.એવી જ રીતે ભુજથી મુંબઇ જનારા પ્રવાસીઓ કેટલા હશે એ જાણવા પ્રયાસ કરવામાં આવતાં ભુજથી બે જણ પરત મુંબઇ ગયા હતા.