કચ્છના પ્રાણ પ્રશ્નો નિવારવા નાયબ મુખ્યમંત્રીની ખાતરી
કચ્છના પ્રાણ પ્રશ્નોને લઈ રાજ્ય સરકાર સામે બાંયો ચડાવનારા અને એક સમયે રાપર વિધાનસભાની ટિકિટના દાવેદાર એકલમાતાજીના મહંત સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સથી વાત કરીને માગણી મુજબના કામો બેથી ત્રણ સપ્તાહમાં શરૂ કરાવવાની ખાતરી આપી હતી. જો કે, નિયત સમયમાં કામો શરૂ નહિ થાય તો આંદોલન કરવાનો મહંતે પુનરોચ્ચાર કર્યો હતો. એકલધામના મહંત યોગી દેવનાથબાપુએ નર્મદાના કામોમા, બ્રીજ નિર્માણના કાર્યો અને એકલ બાંભણકા માર્ગના નિર્માણની મુખ્ય માગોને લઈને આજે તા. 17થી ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી.
અનશન પહેલાં જ તેમના હસ્તે માંજુવાસમાં નર્મદાનું પાણી શરૂ કરાયા બાદ મંગળવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી હતી અને પ્રશ્નો માટે તેઓ ચિંતિત છે તેવું જણાવીને કામો શરૂ કરવા 15 થી 20 દિવસનો સમય માંગ્યો હતો . આ વાતચીત દરમિયાન રાજયમંત્રી વાસણભાઈ આહીર પણ સાથે રહ્યા હતા.