માતાના મઢ મધ્યે ગાઈડલાઇનના પાલન સાથે અશ્વિની નવરાત્રિની ઉજવણી કરાશે
માતાનામઢ જાગીર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અશ્વિની નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે જે-તે સમયે અને પરિસ્થિતિ મુજબ તથા સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ઉજવણી કરવામાં આવશે.
માતાનામઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ જણાવ્યું હતું કે જાગીર દ્વારા માઈભક્તો યાત્રીકોની સુવિધા માટે તથા બહારથી આવતા ભાવિકોને નવરાત્રિ દરમિયાન ટિકીટ બુકીંગ સહિતની વ્યવસ્થા કરાવી શકે એવા હેતુ દરવર્ષે નવરાત્રિ મહોત્સવની તારીખો ઘટસ્થાપન, નવરાત્રી પ્રારંભ, હવન પ્રારંભ, પુર્ણાહૂતી, પત્રી (જાતર) સુધીના કાર્યક્રમ ચાર માસ અગાઉ જાહેર કરાય છે. જેથી ભાવિકોને આયોજન અંગે સવલત રહે.
જોકે આ વરસે મહામારીના કારણે નવરાત્રી સમયની પરિસ્થિતિ મુજબ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઉજવણી કરવામાં આવશે. મહોત્સવ અંતર્ગત તા. ૧૬ ઓક્ટોમ્બરના રાત્રે ૯-૩૦ વાગ્યે ઘટસ્થાપન કરાશે. નિજ આસો સુદ એકમ તા. ૧૭-૧૦ના નવરાત્રી પ્રારંભ, તા. ૨૩-૧૦ના આસો સુદ સપ્તમાના રાત્રે ૯-૩૦ કલાકે જગદંબા પુજન અને રાત્રે ૧૦ વાગ્યે હવનપ્રારંભ અને રાત્રે ૧-૩૦ વાગ્યે હવન પૂર્ણાહૂતિ જ્યારે તા. ૨૪ ઓક્ટોમ્બર આસો સુદ અષ્ટમીના શુભ ચોઘડીયે પત્રી (જાતર) વિધિ કરાશે. એવું જાગીર ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.